![]()
Ram Madhav Statement Controversy: ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે અમેરિકામાં આપેલા એક નિવેદનથી ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વોશિંગ્ટનમાં આયોજિત એક કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકા સાથેના સંબંધો સાચવવા માટે રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
શું કહ્યું રામ માધવે?
વોશિંગ્ટનમાં હડસન ઇન્સ્ટિટ્યૂટ કોન્ફરન્સ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના ભરોસા પર બોલતા રામ માધવે કહ્યું કે, ભારતે અમેરિકા સાથે સારા સંબંધો જાળવવા માટે શું નથી કર્યું? અમે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા. વિપક્ષની ભારે ટીકા છતાં, અમે રશિયા પાસેથી પણ તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા. ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફનો પણ વિરોધ ન કર્યો અને નવી ટ્રેડ ડીલમાં 18% ટેરિફ પર પણ સહમતિ દર્શાવી. રામ માધવનો સવાલ હતો કે, આટલું કરવા છતાં એવા કયા મુદ્દા છે જ્યાં ભારત પાછળ રહી ગયું છે?
કોંગ્રેસનો વળતો પ્રહાર મોદી ટ્રમ્પની કઠપૂતળી
રામ માધવનો વીડિયો વાયરલ થતા જ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, રાષ્ટ્રહિત સાથે સમજૂતી: મોદી સરકારે ટ્રમ્પ પ્રશાસનને ખુશ કરવા માટે દેશના હિતોનું બલિદાન આપ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી ટ્રમ્પના ઈશારે કામ કરી રહ્યા છે અને તેથી જ ટ્રમ્પ ભારતને નરક કહે તો પણ મોદી મૌન રહે છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, અમેરિકા પીએમ મોદીને કોઈ વાત માટે બ્લેકમેલ કરી રહ્યું છે, જેના કારણે ભારત સરેન્ડર કરી રહ્યું છે.
આ પણ વાંચો : બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા
વિવાદ વધતા રામ માધવે માફી માંગી
ચારેબાજુથી ઘેરાયા બાદ રામ માધવે તાત્કાલિક સ્પષ્ટતા કરી અને માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે જે કહ્યું તે તથ્યોની દ્રષ્ટિએ ખોટું હતું. ભારતે રશિયા પાસેથી તેલની આયાત ક્યારેય બંધ કરી નથી. ભારતે 50% ટેરિફનો હંમેશા જોરદાર વિરોધ કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે પેનલ ચર્ચામાં તર્ક આપતી વખતે તેમનાથી ભૂલ થઈ હતી.
શું છે વાસ્તવિક સ્થિતિ?
ગયા વર્ષે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 50% ટેરિફ લગાવ્યો ત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. અમેરિકાનું દબાણ હતું કે ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે. જોકે, ભારતે રશિયા સાથેનો વેપાર સંપૂર્ણ બંધ કરવાને બદલે ઘટાડ્યો હતો અને બેકચેનલ ડિપ્લોમસી ચાલુ રાખી હતી. તાજેતરમાં ફેબ્રુઆરીમાં થયેલી વાતચીત બાદ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 18% કર્યો છે, પરંતુ હજુ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર થવાના બાકી છે.










