BJP-Congress Workers Clash : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા બદલ બિહારમાં ભારે રાજકીય ધમપછાડા ચાલી રહ્યા છે. આ મુદ્દે ભાજપના કાર્યકરોએ પટણામાં કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી ભારે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા છે, જેના કારણે બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી થવાની ઘટના બની છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું ?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘સત્ય અને અહિંસા સામે અસત્ય અને હિંસા ટકી શકતા નથી. જેટલું મારવું-તોડવું હોય એટલું મારો અને તોડો, અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.’ વાસ્તવમાં રાહુલે ‘વોટ અધિકાર યાત્રા’માં પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કથિત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા હતો, જેનો વિરોધ કરવા માટે ભાજપે પટણા માર્ચ કાઢી હતી, આ દરમિયાન બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મામારીનો વીડિયો વાયરલ
મીડિયા એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા છે. તેઓ પક્ષના ઝંડો લઈ એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.નજીકના પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી હતી.

કોંગ્રેસ નેતાઓએ મૂક્યો આરોપ
કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યો હતો કે, ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો ગેટ તોડી અંદર ઘૂસ્યા હતા. તેમણે લાઠીઓ ઉગામી હતી. કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડ્યા હતા. પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં કોંગ્રેસના અમુક કાર્યકરોને ઈજા પહોંચી હતી. એક કાર્યકરનું માથુ પણ ફાટી ગયુ હતું. ભાજપના નેતાઓએ સદાકત આશ્રમ સુધી રેલી યોજી રાહુલ ગાંધી અને I.N.D.I.A ગઠબંધનના અન્ય નેતાઓ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. આ દેખાવો દરમિયાન ભાજપના કાર્યકરોએ પટણામાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સદાકત આશ્રમમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોએ એક-બીજા પર લાઠીઓ વરસાવી હતી. પથ્થરમારો પણ થયો હતો. પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.
શું હતી ઘટના?
દરભંગામાં બુધવારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન અમુક લોકોએ મંચ પરથી વડાપ્રધાન મોદી અને તેમની માતા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જો કે, આ ઘટના સમયે રાહુલ ગાંધી કે તેજસ્વી યાદવ મંચ પર ઉપસ્થિત ન હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. પોલીસે આ મામલે આરોપી રિઝવી ઉર્ફ રાજાની ધરપકડ પણ કરી હતી. આ ટિપ્પણીનો ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભાજપના ધારાસભ્ય નીતિન નાબિને જણાવ્યું હતું કે, બિહારના દરેક દિકરાએ માતાનું અપમાન કરવા બદલ કોંગ્રેસને આકરો જવાબ આપવો જોઈએ. આપણે તેનો બદલો લેવો જોઈએ.














