![]()
અમદાવાદ,શનિવાર
ગુજરાતના એક મિડીયા હાઉસની વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી અને ધમકીના કુલ ત્રણ ગુના નોધાયા બાદ હજુ પણ તેના વિરૂદ્ધ દશ જેટલી અરજીઓ પર તપાસ ચાલી રહી છે. ત્યારે દિર્ઘાયુ વ્યાસે તપન શાહ નામના વ્યકિતની સાથે મળીને યુએસડીટી, બીટ કોઇન અને ડબ્બા ટ્રેડીંગમાં લોકોને રોકાણ કરાવીને નાણા ઉચાપત કરવાનું કૌભાંડ શરૂ કર્યું હતું.
જેમાં તે એક આઇપીએસના વહીવટદારની મદદ લઇને નાણાંનું રોકાણ કરનારને કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તોડબાજી કરતો હતો. હરપાલસિંહ નામના આઇપીએસના વહીવટદારે દિર્ઘાર્યુ સાથે મળીને અનેક કૌભાંડ આચર્યાની ચર્ચા છે.
પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી, ખંડણી અને ધમકી સહિતની ત્રણ ફરિયાદ નોંધાયા બાદ હજુ ૧૦થી વધુ અરજીઓ પર ક્રાઇમબ્રાંચ અને અન્ય પોલીસ મથકોમાં તપાસ કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં આગામી સમયમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ શકે છે. ત્યારે દિર્ઘાયુ વ્યાસનું બીટ કોઇન, યુએસડીટી અને ડબ્બા ટ્રેડીંગના નામે કરવામાં આવતા કરોડોના કૌભાંડમાં પણ નામ સામે આવ્યું છે. જે અંગે અરજી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ, આ કેસમાં એક આઇપીએસના વહીવટદાર હરપાલસિંહનું નામ ખુલતા કેટલાંક અધિકારીઓ આ કેસને દબાવવા માટે અરજદાર પર દબાણ કરી રહ્યાનું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ શીલજમાં રહેતો તપન શાહ નામનો વ્યક્તિ બીટ કોઇન, ડીજીટલ કરન્સી, યુએસડીટી અને ડબ્બા ટ્રેડીગના કારોબારમાં સક્રિય છે. સાથે સાથે તે દિર્ઘાયુ વ્યાસ સાથે મિત્રતા પણ રાખે છે. જેના કારણે તેણે દિર્ઘાયુ વ્યાસ સાથે મળીને કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. જેમાં તે લોકોને ઉંચા વળતરની લાલચ આપીને તપન શાહ લોકોના બિનહીસાબી નાણાંનું રોકાણ કરાવતો હતો. જેમાં તે નુકશાન ગયુ છે તેમ કહીને નાણાં પરત આપતો નહોતો. પરંતુ, નાણાં આપનાર તેને પોલીસ કેસની ધમકી આપે ત્યારે દિર્ઘાયુ વ્યાસની ભૂમિકા સક્રિય થતી હતી.
તે ગેરકાયદે નાણાંના વ્યવહારના કૌભાંડનો મિડીયામાં પર્દાફાશ કરીને નાણાં રોકનારને ધમકાવતો હતો. સાથેસાથે તે અમદાવાદ પોલીસના આઇપીએસ અધિકારીઓના સીધા સંપર્કમાં હોવાનું કહીને એક સિનિયર આઇપીએસ અધિકારીના વહીવટદાર હરપાલસિંહ સાથે મળીને નાણાંનું રોકાણ કરનારને વધુ ડરાવીને પૈસા ભુલી જવાની ધમકી આપતો હતો.
આમ, દિર્ઘાયુ વ્યાસ, તપન શાહ અને આઇપીએસના વહીટવદાર હરપાલસિંહની ત્રિપુટી સાથે મળીને કરોડો રૂપિયાના વહીવટ કરતા હતા. જેના નાણાં ચોક્કસ હિસ્સામાં વહેંચતા થતા હતા. આ ત્રિપુટીનો ભોગ બનેલા એક વ્યક્તિએ દિર્ઘાયુ વ્યાસ અને તપન શાહ વિરૂદ્ધ અરજી કરતા તપાસનો રેલો આઇપીએસના વહીવટદાર હરપાલસિંહ જ નહી પણ આઇપીએસ સુધી આવે તેમ હોવાથી અરજદારને ધમકાવવામાં આવી રહ્યો છે અને તેને અરજી પરત લેવાનું કહીને કાળા નાણાં અનુસંધાનમાં મનીલોન્ડરીંગનો કેસમાં ફસાવી દેવા સુધીની ધમકી આપવામાં આવી રહી છે.ત્યારે આ અંગે ડીજીપી ઓફિસ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આઇપીએસના વહીવટદાર હરપાલસિંહે જ ૧૦ લાખની અરજીમાં સમાધાનનો સૌથી વધુ પ્રયાસ કર્યો હતો
રતનપોળના જ્વેલર્સના કેસમાં ૧૦ લાખનોે તોડ કરવાના મામલે દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ થયેલી અરજીની તપાસ દરમિયાન સમગ્ર કેસમાં બારોબાર પૂર્ણ વિરામ લાગી જાય તે માટે આઇપીએસના વહીવટદાર હરપાલસિંહે આકાશ પાતાળ એક કરી દીધું હતું. પરંતુ, દિર્ઘાયુ વ્યાસે આ નાણાં પૈકી ચોક્કસ ભાગ મળતિયાઓને આપી દીધો હોવાથી તેની પાસે તાત્કાલિક નાણાં નહોતા. પરંતુ, આ કેસમાં ફરિયાદ દાખલ ન થાય તે માટે હરપાલસિંહ પર દબાણ ઉભુ કર્યુ હતું. જેમાં અરજદાર સાથે સમાધાનની ફોર્મુલા સફળ રહી નહોતી. જેના કારણે અંતે ફરિયાદ નોધાઇ હતી.










