![]()
– ભારત- દ.પૂ. એશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધો છે
– મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ અશાંત બનતા વ્યાપારીઓ અને સહેલાણીઓ દ.પૂ. એશિયા તરફ વળી રહ્યા છે માટે એર-લિંક વધે તે જરૂરી છે
નવી દિલ્હી : ભારતની એક જાણીતી એરલાઇન્સ કંપની ‘આકાશ-એરે’ ગુરુવારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાથી કંપની મુંબઈ હેનોઈ વચ્ચે સીધી વિમાની સેવા શરુ કરશે. કંપનીના સહ-સ્થાપક અને ચીફ કોમર્શિયલ ઓફિસર આનંદ શ્રીનિવાસને ગુરૂવારે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, વિયેતનામ સાથે ભારતને પહેલેથી જ સારા સંબંધો છે. વાસ્તવમાં ઐતિહાસિક સમયથી ભારત વિયેતનામ વચ્ચે સબંધો રહ્યા છે. વળી મધ્ય- પૂર્વમાં પરિસ્થિતિ અશાંત બનતા સહજ રીતે જ વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને સહેલાણીઓ દક્ષિણ- પૂર્વ એશિયા તરફ વળે છે. તેથી દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે વ્યાપાર પણ વધી શકે તેમ છે.
વિયેતનામ અંગે તેઓએ કહ્યું હતું કે, તે ઝડપભેર આર્થિક પ્રગતિ કરતો દેશ છે ત્યાં વ્યાપાર અને ઉદ્યોગો માટે સારી તક છે. વળી તેનો સાંસ્કૃતિક વારસો ભારત સાથે જોડાયેલો છે. સદીઓથી આપણા સંબંધો ઘનિષ્ઠ રહ્યા છે તેથી એર લિંક દ્વારા તેની સાથે જોડાવું મહત્ત્વનું બની રહે તે સહજ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી વધુ અને વધુ ભારતીયો ત્યાં વ્યાપાર ધંધા અર્થે તેમજ રજાઓ ગાળવા પણ જઈ રહ્યા છે. વળી વ્યાપારી તકો પણ વધી રહી છે. માટે હેનોઈ સાથે વિમાની સેવા શરૂ કરવા નિર્ણય લેવાયો છે. હેનોય તે આ કંપનીનું ૭મું આંતર-રાષ્ટ્રીય મથક બની રહેશે જ.








