![]()
મહર્ષિ વાલ્મિકી મૂજબ ચૈત્ર સુદ- 9, કર્ક લગ્ન, પુનર્વસુ નક્ષત્ર હતું અયોધ્યામાં 7140 વર્ષ પૂર્વે પ્રાગટયઃ તુલસીદાસજીએ લખ્યું છે નવમી તિથિ, મધુ માસ, શુક્લ પક્ષ, મધ્ય દિવસ, અભિજીત મુહૂર્ત
રાજકોટ, : આવતીકાલ તા. 26-3-2026ના મધ્યાન્હ સમય એટલે કે દિવસનો બરાબર મધ્યાન્હ ભાગના સમયે દેશ-વિદેશના કરોડો હૃદયમાં બીરાજતા ભારત વર્ષના ભગવાન શ્રીરામનો પ્રાગટય ઉત્સવ ખૂબ શ્રધ્ધા અને ભક્તિ સાથે ઉજવાશે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મધ્યરાત્રિએ તેમ રામનો જન્મોત્સવ મધ્યાન્હ કાળમાં મનાવાય છે, જે કાળ દરેક શહેર પ્રમાણે મિનિટોમાં ફરક હોય છે.
ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ- 9ના દિવસે જ થયો હતો તેના અનેક પ્રમાણો મળ્યા છે. અઢી હજાર વર્ષ પહેલા લખાયેલ અને સમગ્ર વિશ્વનું પ્રથમ મહાકાવ્ય કે જે સંસ્કૃતમાં લખાયેલ છે અને ઈતિહાસની પદ્યસ્વરૂપે રજૂઆત છે તે મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણમાં અને બાદ સં. 1631માં તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસમાં પણ જન્મ ક્યારે થયો તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
મહર્ષિ વાલ્મિકીએ લખ્યું છે- ચૈત્રના શુક્લ પક્ષની, નવમી તિથિના પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં કૌશલ્યાદેવીએ સર્વલોકવંદિત જગદીશ્વર શ્રી રામને જન્મ આપ્યો હતો. એ સમયે 5 ગ્રહો (સૂર્ય, મંગળ, શનિ, ગુરૂ અને શુક્ર) એ તેમના ઉચ્ચસ્થાનમાં વિદ્યમાન હતા, તથા લગ્નમાં ચંદ્રમા સાથે બૃહસ્પતિ વિરાજમાન હતા.
જ્યારે સંત તુલસીદાસજીએ રામચરિત માનસમાં આ જન્મ દિવસના વર્ણનમાં લખ્યું છે-‘નૌમી તિથિ, મધુમાસ પુનીતા, સુક્લ પચ્છ, અભિજીત હરિપ્રીતા, મધ્યદિવસ અતિ સીત ન ઘામા, પાવન કાલ લોક બિશ્રામા’ અર્થાત્ એ ભગવાન શ્રી રામ અવતર્યા ત્યારે નવમી તિથિ , મધુર માસ એટલે કે વસંતનો ચૈત્ર માસનો શુક્લ પક્ષ હતો, અભિજીત મુહુર્ત સાથે મધ્ય દિવસ અને નહીં ગરમી કે નહીં ઠંડી એવો મધ્યમ ઉત્તમ સમય હતો, શુભ પાવન સમય જે લોકોને વિશ્રામ આપનારો હતો.
અનેક વિદ્વાનો રામનો જન્મસમય 5114 બીસીઈ અર્થાત્ આશરે 7140 વર્ષ પહેલાનો ગણાવે છે. જો કે તે અંગે ચર્ચા થતી રહી છે. પરંતુ , ચૈત્ર સુદ- 9 અને મધ્યાન્હ કાળ યુગોથી નિર્વિવાદ છે. તેથી વિશેષ તારીખ,મુહુર્ત વગેરેથી વિશેષ મહત્વ ભગવાન પ્રત્યેની ભક્તિ આસ્થા અને વિશ્વાસ છે.
ઈસ્વીસન મૂજબ તા. 26 માર્ચના સવારથી 27 માર્ચ સવાર નવમી
રાજકોટ : ભારતનો વ્યવહાર તારીખ મૂજબ ચાલે છે તેથી આ વખતે નવમી તિથિ રાષ્ટ્રીય સમય મૂજબ આવતીકાલ તા. 26ના સવારે 11-48 વાગ્યે શરૂ થઈને તા. 27ના સવારે 10-06 વાગ્યા સુધી છે જે કારણે રામનવમી ઉજવવાની દ્વિધા વચ્ચે અંતે સરકારી તંત્રમાં તેમજ મોટાભાગની સંસ્થાઓએ રામનવમી તા. 26 માર્ચે ઉજવવાનું નક્કી કર્યું છે. જ્યારે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ તા. 27 માર્ચે થશે.










