અમદાવાદ, રવિવાર
વસ્ત્રાલમાંથી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયું છે. ગ્રામ પંચાયત સામેની ઓફિસમાં ખોટી આવક બતાવીને નકલી આવકના દાખલા બનાવી આપી અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપતા હતા. પોલીસે ૪૦ દાખલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિયમ મુજબ આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે ચાર લાખની આવક મર્યાદા છે. આ ટોળકી ચાર લાખથી વધુ આવક ધરાવતા લોકોને ખોટા દાખલા બનાવી આપીને રૃપિયા પડાવીને આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા.
વસ્ત્રાલ ગ્રામ પંચાયત સામે દુકાન ખોલીને ખોટી આવક દર્શાવી ખોટા દાખલા બનાવવાનો ગોરખધંધો
રામોલ પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંસી ઓનલાઈન ધરાવતા અને વસ્ત્રાલમાં રહેતા ધીરજ તથા ઓઢવમાં રહેતા કિશોરભાઇ તથા સુરતના દીપક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે દુકાનમાં દરોડો પાડીને તપાસ કરતાં છેલ્લા બે વર્ષથી ભાગીદારીમાં દુકાન ચાલું કરી હતી. તેઓ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની પ્રોસેસ કરતા હતા. જો કે તેમની પાસે આવતા કેટલાક લોકોની આવક રૃપિયા ચાર લાખ કરતા વધારે હોવાથી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકતા ન હતા.
આથી આરોપીઓએ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૃઆત કરી હતી અને કમ્પ્યુટરમાં આવા દાખલનો ઉપયોગ કરીને ખોટા દાખલા આધારે અસલી આયુષ્યમાન બનાવી આપતા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ ૪૦થી વધુ નકલી આવકના દાખલા રજૂ કરીને આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.










