New E Challan Rules: ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાયસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે.
નવા નિયમોમાં કઇ કઇ કડક જોગવાઇઓ?
1. ઈ-ચલણ સામે રજૂઆત કે ફરિયાદ માટે 45 દિવસની સમયમર્યાદા
જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં ‘ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે.
2. 45 દિવસ બાદ ચલણની આપોઆપ સ્વીકૃતિ અને ચૂકવણીની મુદત
ચલણ ઈશ્યુ થયાના 45 દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઈવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી 30 દિવસની અંદર ચલણની રકમની ભરપાઈ કરવાની રહેશે.

3. સમયસર ચલણ ન ભરનાર વાહનું ‘વાહન પોર્ટલ’ પર સેન્ટ્રલ બ્લોકિંગ
જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી ‘વાહન પોર્ટલ’ પર સંબંધિત વાહનને ‘Not to be transacted’ એટલે કે, બ્લોકની શ્રેણીમાં મૂકી દેવાશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઈવિંગ લાયસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ પર કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.
4. ફરિયાદ નકારવામાં આવે તેવા કિસ્સામાં નિયમ
જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારબાદ 30 દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને 15 દિવસમાં રકમ ચૂકવવી પડશે. આવું ન કરનાર વાહનને ‘વાહન પોર્ટલ’ પર ‘Not to be transacted’ તરીકે બ્લોક કરવામાં આવશે.
5. 5 કે તેથી વધુ ચલણ પર ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ થશે
નવા સુધારાની સૌથી કડક જોગવાઈ અનુસાર, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ નવા નિયમો સાથે ગુજરાતના તમામ વાહનચાલકોને કાયદાકીય ગૂંચવણોથી બચવા, વાહન બ્લોક થતું અટકાવવા અને લાયસન્સ સસ્પેન્શન જેવી કડક કાર્યવાહીથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર નિયત પોર્ટલ પર ભરી દેવા રાજ્ય સરકારે અપીલ કરી છે.









