![]()
Ahmedabad Hu nathuram Godse Protest : રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ NSUI અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ અને સિંધુભવન રોડ જેવા વિસ્તારોમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. વિરોધને પગલે આયોજકોએ આ નાટક રદ કરવાનો નિર્ણય લીધો છે.
ક્યાં થવાનો છે કાર્યક્રમ?
મળતી માહિતી અનુસાર, સોમવારે (નવમી ફેબ્રુઆરી) સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ‘હું નથુરામ’ નાટકનું આયોજન કરાયું હતું. આ અગાઉ NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં. વિરોધ દરમિયાન નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. જો કે, આ ભારે વિરોધના પગલે આ નાટક રદ કરવામાં આવ્યું છે.
ટિકિટો ઓનલાઇન વેચાઈ રહી છે…
હાલમાં આ નાટકની ટિકિટો ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે, પરંતુ NSUI દ્વારા આ પ્રદર્શનને રોકવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રના શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનની જેમ જ અમદાવાદમાં પણ નાટક દરમિયાન હંગામો થવાની પૂરી શક્યતા હતી. નોંધનીય છેકે, આ શોની 75 ટકા ટિકિટ વેચાઈ ગઈ હતી. ટિકિટનો ભાવ 275 રૂપિયા રાખવામાં આવ્યો હતો.










