RSS Leader Bhaiyaji Joshi on Aurangzeb Controversy: મુઘલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની માગ વચ્ચે RSSના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોષીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે. જેને વિશ્વાસ છે, તે કબરની મુલાકાત લેશે.’
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ભૈયાજી જોષીએ કહ્યું કે, ‘ઔરંગઝેબની કબરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે. જો તેનું મૃત્યુ અહીં થયુ છે. તેથી તેની કબર પણ અહીં જ હશે. જેને શ્રદ્ધા છે તે જશે.’ ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ઔરંગઝેબની કબર પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના પ્રયાસોની નિંદા કરતાં કહ્યું છે કે ‘ઈતિહાસને જાતિ અને ધર્મના ચશ્માથી જોવો ન જોઈએ.’
જેમને શ્રદ્ધા છે, તે ત્યાં જશે
જોષીએ આગળ કહ્યું કે, ‘બીજાપુર શાસનકાળના કમાન્ડર અફઝલ ખાનને પ્રતાપગઢ કિલ્લા પાસે દફનાવવામાં આવ્યા હતાં અને છત્રપતિ શિવાજી મહારાજની પરવાનગી વિના આમ કરી શકાય તેમ ન હતું. આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ મોડલ છે. તેમણે અફઝલ ખાનની કબર બનાવી હતી. તે ભારતની ઉદારતા અને સર્વસમાવેશકતાનું પ્રતિક છે. કબર રહેશે, જેને જવું હોય તે જશે.’ રાજ ઠાકરેની ટિપ્પણી અને મુઘલ શાસકની કબરના મુદ્દા વિશે જોષીએ કહ્યું કે, ‘ઔરંગઝેબની કબરનો વિષય બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે. તેઓ અહીં (ભારતમાં) મૃત્યુ પામ્યા હતા, તેથી તેમની કબર અહીં બનાવવામાં આવી છે. જેને શ્રદ્ધા છે તે ત્યાં જશે.
આ પણ વાંચોઃ હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી
આપણને વૃક્ષો અને પાણીની ચિંતા નથી, પરંતુ કબરોની ચિંતા છેઃ ઠાકરે
મુંબઈના શિવાજી પાર્ક ખાતે વાર્ષિક ગુડી પડવા રેલીને સંબોધતા રાજ ઠાકરેએ ગેરમાર્ગે દોરનારી ઐતિહાસિક કથાઓ અને વોટ્સએપ સંદેશાઓ સામે ચેતવણી આપી હતી અને ભાર મૂક્યો હતો કે ઈતિહાસનો સોશિયલ મીડિયાને બદલે વિશ્વસનીય સ્ત્રોતોથી અભ્યાસ કરવો જોઈએ. રાજ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઔરંગઝેબની કબર પર વિવાદ ઊભો કરવાના રાજકીય પ્રયાસોની ટીકા કરી હતી. જેના કારણે નાગપુરમાં હિંસા થઈ હતી. તેમણે કહ્યું કે, આપણને પાણીના સ્રોતો અને વૃક્ષોની ચિંતા નથી. પરંતુ ઔરંગઝેબની કબરની ચિંતા છે. લોકોને ઈતિહાસના નામ પર લડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોમી સંઘર્ષ વધારવા માટે આ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.
ઠાકરેએ ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો
ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુઘલ શાસક ઔરંગઝેબે મહારાષ્ટ્રમાં મરાઠાઓ સામે 27 વર્ષ સુધી લડ્યા હતાં. છત્રપતિ શિવાજી મહારાજના વારસાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે નિષ્ફળ ગયો હતો. ઔરંગઝેબ શિવાજી નામના વિચારને પણ નષ્ટ કરવા માગતો હતો. શિવાજી મહારાજના મૃત્યુ બાદ પણ ઔરંગઝેબ મહારાષ્ટ્રમાં તેમની વિચારધારાને નાબૂદ કરવાનો નિષ્ફળ રહ્યો હતો. શિવાજીના પુત્ર સંભાજી મહારાજે પણ ઔરંગઝેબના પુત્રને આગ્રાથી ભાગવા પર આશ્રય આપ્યો હતો.











