![]()
– ખાનગી ઇન્ટરનેટ કંપનીમાં બંને યુવકો નોકરી કરતા હતા
– નંદની પ્લાઝાના કોમ્પલેક્ષના ભોંયરામાંથી બાપુજીના મુવાડાના બે યુવકોની લાશ મળતા પીએમ મોકલાઇ
કપડવંજ : કપડવંજના મોડાસા રોડ પર આવેલા નંદની પ્લાઝા કોમ્પલેક્ષના ભોંયરામાંથી બાપુજીના મુવાડા ગામના બે યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશો મળી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામના સિધ્ધાર્થ ભવાનભાઇ પરમાર ( ઉ.વ. ૨૬) અને દીપક અજયભાઇ પરમાર ( ઉ.વ.૨૨) ખાનગી ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા હતા. આ બંને યુવકો નિત્યક્રમ મુજબ રાત્રે જમવાના સમયે ઘરે આવ્યા ન હતો. પરિવારે પોલીસ મથકમાં જઇને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે, અજાણ્યા બે યુવાનની લાશ મળી છે. પરિવારજનોએ તપાસ કરતા સિધ્ધાર્થ પરમાર અને દીપક પરમારના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના દરમિયાન નંદની પ્લાઝાની લાઇટો બંધ હતી. જેથી તટસ્થ તપાસની માગણી કરવામાં આવી છે.
બંનેની લાશને પીએમ માટે સોરણા પીએચસી સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા અને જ્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
મૃતકના ભાઇ અને કાકાના જણાવ્યા અનુસાર, બંને મૃતદેહ રાતે શંકાસ્પદ હાલતમાં મળ્યા હતા. ઇન્ટરનેટ કેબલ કનેક્શનનું કામ કરતા હતા. નંદની પ્લાઝાના ભોંયરામાં ઘટના સ્થળે વાયરો ખૂલ્લા હતા. આ બાબતે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષ કડિયા તપાસ માટે ગયા હતા. આ મામલે શૈલેષ કડિયાને પૂછતા તેમણે જણાવ્યુ કે, ફોન પર માહિતી નહીં આપું, તમે સોમવારે રૂબરૂ મળવા આવજો.ત્યારે માહિતી આપીશ.










