![]()
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનારનાં પરિવારજનો કહે છે : 41 વર્ષનો રાજકોટનો રાજેશ દિલ્હીમાં કૂતરા અંગેના સમાચારથી ક્રોધિત અને વ્યથિત હતો : ઉજ્જૈન જવાનું કહી દિલ્હી પહોંચી ગયો
રાજકોટ, : દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના સરકારી બંગલે જનસંવાદના કાર્યક્રમમાં હુમલો કરનાર રાજેશ ખીમજીભાઈ સાકરિયા રાજકોટના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે ગોકુલ પાર્ક-2માં રહે છે. રાજેશ બે ભાઈમાં મોટો છે અને કોઇ કામધંધો કરતો નથી. પરિવારજનોએ જણાવ્યું કે રાજેશ પશુ- પંખી પ્રેમી છે. આખો દિવસ ગાયો, શ્વાનોની સેવા કરે છે. તાજેતરમાં જ તેણે દિલ્હીમાં રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં મૂકવાનાં સમાચાર જોયા હતાં. જે માટે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જવાબદાર માની તેણે તેમની ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હશે તેવુ તેમનું માનવું છે, બાકી તેમણે હુમલા અંગેનો વીડિયો જોયો નથી.
પરિવારજનોએ રાજેશની માનસિક હાલત પણ સામાન્ય નહીં હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે રાજેશ ખૂબ જ ગુસ્સેલ સ્વભાવનો છે. પત્ની, માતા સહિતનાં પરિવારજનોને વારંવાર મારકૂટ કરી લે છે. તેને મગજ શાંત કરવા માટેની દવા લેવાનું કહીએ તો હંમેશા ના પાડી કહેતો કે મારે કોઇ દવાની જરૂર નથી. દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર 41વર્ષનો રાજેશ ઉર્ફે રાજુ રાજકોટનો વતની છે તેવું સ્પષ્ટ થતાં દેશભરનાં મીડિયાનું ધ્યાન રાજકોટ તરફ ખેંચાયું હતું. એટલું જ નહીં દેશની ગુપ્તચર એજન્સીઓ પણ રાજેશની ‘જન્મકુંડળી’ કાઢવાના કામમાં લાગી ગઇ હતી. રાજેશની 70 વર્ષીય માતા ભાનુબેને કહ્યું કે, તેને સંતાનમાં બે પુત્ર છે, તેમાંથી મોટો ભરત અને બીજા નંબરે રાજેશ છે, જે પરિણીત છે. તેને સંતાનમાં 17 વર્ષનો પુત્ર કાર્તિક છે. શરૂઆતથી જ કોઇ કામધંધો કરતો નથી.
તે દરરોજ બપોરે ગાયોને રોટલીઓ નાખવા નીકળી જાય છે. ફંડફાળો કરી શ્વાનોને દૂધ પણ પીવડાવે છે. કોઇ જગ્યાએથી ગાય કે શ્વાન બીમાર કે કોઇ તકલીફમાં છે તેવા સમાચાર મળે તો તત્કાળ ત્યાં પહોંચી તેમની સેવા સુશ્રુષા કરે છે. કેવડાવાડી વિસ્તારમાં દરરોજ પંખીઓને ચણ પણ નાખે છે. મહાકાલનો ભક્ત હોવાથી અવારનવાર ઉજ્જૈન મહાકાલનાં મંદિરે દર્શન કરવા જાય છે. ગત રવિવારે બપોરે પણ ઉજ્જૈન જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. ગઇકાલે પિતા ખીમજીભાઈએ કોલ કરતાં કહ્યું કે દિલ્હીમાં છું. દિલ્હીમાં શું કરે છે તેવું પૂછતાં કૂતરાઓ માટે આવ્યાનું કહી ફોન કાપી નાખ્યો હતો.
રાજેશ કોઇ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી
રાજકોટ : દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ કોઇ રાજકીય પાર્ટી સાથે સંકલાયેલો છે કે નહીં તેની તપાસ શરૂ થઇ હતી. તેની પત્ની ઉષાબેને જણાવ્યું કે, મારો પતિ એક પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી
દારૂનાં 3 અને મારામારીના 2 ગુના નોંધાયેલા છે
રાજકોટ, : રાજેશ વિરૂધ્ધ પ્રોહીબીશનનાં ત્રણ ગુના નોંધાયેલા છે. હુમલો અને મારામારીના બે ગુના નોંધાયા હતા. આ ઉપરાંત, તેની સામે અટકાયતી પગલાં લેવાયા હતા. 2021માં હદપાર કરવાની દરખાસ્ત પણ મુકાઈ હતી. અગાઉ દારૂ વેચવાનું કામ કરતો હતો પરંતુ છેલ્લાં છ વર્ષથી દારૂ વેચવાનું બંધ કર્યાનું પોલીસને જાણવા મળ્યું છે. સાથોસાથ ઝનૂની સ્વભાવનો હોવાની પણ પોલીસને માહિતી મળી છે










