![]()
Cockroach Janta Party gives 7-day ultimatum to Govt : દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કેન્દ્ર સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવ્યું છે. સંગઠને સરકારને સ્પષ્ટ શબ્દોમાં 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. CJP એ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે, તો આ વિરોધ પ્રદર્શનને દેશના ખૂણે-ખૂણે વિસ્તારીને મોટું જનઆંદોલન બનાવવામાં આવશે. જંતર-મંતરના પ્રદર્શન બાદ સંગઠનના નેતાઓએ દાવો કર્યો છે કે આ આંદોલન માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી, પરંતુ દેશના અસંખ્ય રાજ્યોના યુવાનો આ લડાઈમાં તેમની સાથે સીધા જોડાયેલા છે.
સરકાર પાસે માત્ર 7 દિવસનો સમય: આશુતોષ રાંકા
નવી દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ આયોજિત એક પત્રકાર પરિષદમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ આંદોલન માત્ર એક દિવસનો સાંકેતિક વિરોધ નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના વ્યાપક અધિકારો માટેની એક મોટી ક્રાંતિની શરૂઆત છે.
દેશભરમાં આંદોલનોની ચીમકી
પ્રવક્તા આશુતોષ રાંકાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે હવે આ મુદ્દે વિચારવા માટે માત્ર 7 દિવસનો સમય છે. જો આ સમયગાળામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર દેશમાં અત્યંત મોટા પાયે શાંતિપૂર્ણ પ્રદર્શનો શરૂ કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યોમાંથી યુવાનો સતત અમને સમર્થનના મેસેજ મોકલી રહ્યા છે અને તેઓ પોતાનો અવાજ બુલંદ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
દેશભરમાંથી યુવાનો જોડાયા હતા: કોકરોચ જનતા પાર્ટી
બીજા પ્રવક્તા સૌરવ દાસે દાવો કર્યો હતો કે જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શનમાં તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ અને પૂર્વોત્તર રાજ્યો સહિત દેશના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો રૂબરૂ આવ્યા હતા. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા પણ લાખો લોકોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની આ માંગને ખુલ્લું સમર્થન આપ્યું છે.
આ તો માત્ર ટ્રેલર હતું: અભિજીત દીપકે
સીજેપી સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શન સમાપ્ત થયા બાદ એક્સ (X) પર લખ્યું કે, માતા-પિતાને મળવા ઘરે જઈ રહ્યો છું, તેમને છેલ્લી વાર મળ્યાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં તેમને ઘણી તકલીફ પડી છે અને ધમકીઓને કારણે તેમણે ઘર છોડવું પડ્યું હતું. હવે તેમને પાછા ઘરે લઈ જઈશ. આજનો પ્રોટેસ્ટ તો બસ એક ટ્રેલર હતું. આટલી મોટી સંખ્યામાં આવવા માટે આપ સૌનો આભાર!
અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો: અભિજીત
જંતર-મંતર પર એકઠા થયેલા હજારો સમર્થકોને સંબોધિત કરતી વખતે અભિજીત દીપકેએ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવાને બદલે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, મારા મિત્રો, આ એક લાંબી લડાઈ છે. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતાં આપણને એક મહિનો થઈ ગયો છે. પરંતુ આ લોકો એટલા નિર્લજ્જ છે કે પગલાં લેવાને બદલે અમારું ધ્યાન ભટકાવવામાં પડ્યા છે. અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરવામાં આવી રહ્યા છે અને અમારી પોસ્ટ ડિલીટ કરવામાં આવી રહી છે. તમે કદાચ અમારી પોસ્ટ ડિલીટ કરી શકશો, પણ આ જગ્યા પરથી અમને કેવી રીતે ભૂંસી શકશો?
અભિજીત દીપકેએ વધુમાં કહ્યું કે, ધર્મની રાજનીતિ બંધ કરો, હિન્દુ-મુસલમાનની રાજનીતિ બંધ કરો! છેલ્લા 10-12 વર્ષથી આ લોકોએ આપણને હિન્દુ-મુસલમાનની રાજનીતિમાં ફસાવી રાખ્યા, તેનાથી કોને ફાયદો થયો? શું હિન્દુ-મુસલમાન કરવાથી દેશમાં કોઈને પણ નોકરીઓ મળી? ઘણા લોકો કદાચ જેલના ડરથી વેચાઈ ગયા હશે અથવા દબાણમાં આવી ગયા હશે, પરંતુ આ દેશનો વિદ્યાર્થી અને યુવાન હજુ વેચાયો નથી.










