![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં ભણતા ૯૫ ટકા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ માટેના ફોર્મ ભરીને સુપરત કરી દેતા સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો છે.
વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને પાછા આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.ટીવાયમાં ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ પૈકી ૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપના ફોર્મ ભર્યા છે.નવી શિક્ષણ નીતિ અનુસાર ઈન્ટર્નશિપ ફરજિયાત છે અને તેની ચાર ક્રેડિટ છે.જે વિદ્યાર્થી ઈન્ટર્નશિપ નહીં કરે તેને ચાર ક્રેડિટ ગુમાવવી પડશે.
જોકે ૯૫ ટકા વિદ્યાર્થીઓની નોંધણી થઈ ગઈ છે.સૂત્રોનું કહેવું છે કે, ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓનું એક એવા ગુ્રપ બનાવાયા છે.દરેક ગુ્રપમાં એક અધ્યાપકની માર્ગદર્શન આપવા મેન્ટર તરીકે નિમણૂક કરાઈ છે.વિદ્યાર્થીઓને તા.૨૯ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કયાં ઈન્ટર્નશિપ કરવી તેની જાણકારી અને બીજી ગાઈડ લાઈન પૂરી પાડવામાં આવશે.
જે પાંચ ટકા વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભર્યા તેમને સત્તાધીશો દ્વારા વધુ એક તક આપવામાં આવે તેવી પણ શક્યતા છે.
૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જાતે ઈન્ટર્નશિપ કરે તેવી શક્યતા
ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જાતે પણ ઈન્ટર્નશિપ કરવાની છૂટ આપી છે.બીકોમના અભ્યાસની સાથે સાથે સીએ, સીએસ,સીએમએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની જાતે જ ઈન્ટર્નશિપ કરે તેવી શક્યતા વધારે છે.એક અંદાજ પ્રમાણે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાની જાતે ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપનો વિકલ્પ પસંદ કરી શકે છે.ઈન્ટર્નશિપ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોવાથી સત્તાધીશોએ તમામ ઔદ્યોગિક સંગઠનો તેમજ એનજીઓ, સીએ, સીએસ ઈન્સ્ટિટયુટનો સંપર્ક કર્યો છે.કેટલી કંપનીઓ ઈન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને તક આપશે તે તા.૨૯ના રોજ સ્પષ્ટ થશે.










