અમદાવાદ,શનિવાર,1 નવેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના
કારણે શહેરીજનોને અને ખાસ કરીને વાહન ચાલકોને સહન કરવુ પડે છે. દિવાળી સુધીમા
શહેરના તમામ રોડ ઉપર પડેલા ખાડા પુરવા સ્ટેન્ડિંગ કમિટીમા અપાયેલી સુચનાકે
કોર્પોરેટરોની લેખિત રજૂઆતને પણ કોર્પોરેશનના ઈજનેરો ગંભીરતાથી લેતા નથી.આવા
અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના બદલે સત્તાધારી પક્ષના હોદ્દેદારો મોં
વકાસીને જોઈ રહયા છે.
કોટ વિસ્તારમા આવેલા ખાનપુર ચકલાથી ખાનપુર દરવાજા થઈ કામા
હોટલ સુધીના રોડ તથા કામા હોટલથી શંકરભુવન સુધીના રોડ ઉપર પડેલા ખાડા પેચવર્ક કરી
પુરવા જમાલપુરના કોર્પોરેટર રફીક શેખ દ્વારા દિવાળી પહેલા રજૂઆત કરાઈ હતી. છતાં
હાલમા પણ આ રોડ ઉપર પડેલા ખાડા તંત્ર દ્વારા પુરાયા નથી.રાત્રના સમયે આ રસ્તેથી
પસાર થતા લોકો અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહયા છે. આ અંગે મ્યુનિસિપલ
કમિશનર સમક્ષ પણ રજૂઆત કરાઈ છે.ઉપરાંત મિરજાપુર, શાહપુર મિલ કમ્પાઉન્ડ સહીત અન્ય રોડ ઉપર હાલમા પણ ખાડા છે.










