![]()
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાંથી નિકળતા રોજિંદા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે શહેરની બહાર જાંબુઆ ખાતે લેન્ડફિલ સાઈટ બનાવવામાં આવી છે. જો કે, કોર્પોરેશન દ્વારા સમયસર અને ક્ષમતા પ્રમાણે કચરાનો નિકાલ નહી કરાતા સાઈટ ખાતેફરી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આપના કાર્યકર્તાઓએ સાઈટ ખાતે પહોંચી કચરાના નિકાલની કામગીરી બંધ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
કાર્યકર્તાનો આક્ષેપ હતો કે, લેન્ડફિલ સાઈટ ખાતે જમીન સમથળ કરવાના દાવા વચ્ચે છેલ્લા છ મહિનાથી કચરાનું પ્રોસેસિંગ થઈ રહ્યું નથી. શહેરમાંથી રોજ પહજારટન જેટલો કચરો ઉત્પન્ન થાય છે. તેની સામે કોર્પોરેશન માત્ર ૧૨૦૦ ટન કચરાનો નિકાલ કરી રહ્યું હતું તે કામગીરી પણ બંધ છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં હાલ તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. અને સતત કચરો ઠલવાતા કચરાના ઢગલા વધી રહ્યા છે. કચરામાંથી ગેસ, વિજળી, ઈધણ ઉત્પન્ન કરી આવક જનરેટ કરવાના દાવા પણ પોકળ સાબિત થયા છે. ખરેખર ચારેય ઝોનમાં લેન્ડફિલ સાઈટ બનાવવી જોઈએ. જેથી આવી પરિસ્થિતિ નઉદભવે. આ અંગે કોર્પોરેશનના અધિકારીનું કહેવું હતું કે, શહેરમાંથી રોજ અંદાજે ૧૨૦૦થી ૧૩૦૦ટન કચરો ઉત્પન્ન થાય છે અને પ્લાન્ટની ક્ષમતા ૨૦૦૦ટન હોઈ પ્રતિદિન અંદાજે ૧૦૦૦ ટન કચરાનો નિકાલ થાય છે. જો કે, વરસાદના કારણે કામગીરી બંધ હતી. અને પ્લાન્ટ કાર્યરત કરવા હાલ રિ -ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. શહેરમાં વધુ એક લેન્ડફિલ સાઈટ બને તે માટે આ વીકમાં નિર્ણય થશે.










