![]()
અમદાવાદ,શનિવાર,15
નવેમ્બર,2025
વર્લ્ડ હેરીટેજ અમદાવાદ શહેરમાં ખાડિયા વોર્ડમાં આવેલી
મોટાભાગની પોળો કોમર્શિયલ બાંધકામ થવાથી ખાલી થઈ ગઈ છે.દેવજી સરૈયાની પોળમાં ૭૦
વર્ષથી રહેતા રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા ભારે હોબાળો થયો છે. દેડકાની
પોળમાં કોમર્શિયલ વપરાશ કરનારે પાણી મેળવવા દેવજી સરૈયાની પોળમાં પ્રયાસ કરતા
પોળના રહીશોએ મ્યુનિસિપલ કમિશનર અને ખાડીયા પોલીસ સ્ટેશન સુધી રજૂઆત કરી છે.
કોર્પોરેશન વહીવટી તંત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ
કોર્પોરેટરો અને વર્તમાન કોર્પોરેટરોની રહેમનજર હેઠળ છેલ્લા દસ વર્ષના સમયમાં
મોટાભાગની પોળમાં આવેલા રહેણાંક મકાનો યેનકેન પ્રકારે ખાલી કરાવીને અગાઉ રહેણાંક
એવા મકાનમાં કોમર્શિયલ ગોડાઉન ઉભા કરાવવામા તેમનો બહુ મોટો ફાળો આપેલો છે.વોર્ડમાં
આવેલી દેવજી સરૈયાની પોળમાં પાણી નહીં મળવાને લઈ બે દિવસથી કકળાટ ચાલી રહયો
છે.સ્થાનિક રહીશોએ કરેલા આક્ષેપ મુજબ પોળમા આવેલા જુના મકાન ખરીદીને ચાંદી ગાળવાની
ભઠ્ઠીઓ ચાલી રહી છે.આ કારણથી તેમની પોળમાં સવારે ગટર તથા એસિડવાળુ મિકસ પાણી આવે
છે.માંડ એક કલાક અમને ચોખ્ખુ પાણી મળે છે.દેડકાની પોળમાં કોમર્શિયલ વપરાશ કરનારને
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સત્તાવાર પાણીનુ કનેકશન આપવામા આવ્યુ છે. આમ છતાં
તેમના દ્વારા દેવજી સરૈયાની પોળમાંથી પાણી મેળવવાનો પ્રયાસ કરતા રહીશોને મળતુ પાણી
અટકી જતા રહીશોએ હોબાળા કરવાની ફરજ પડી હતી. શનિવારે બીજા દિવસે પણ આ પોળમાં પાણી
નહીં મળતા રહીશોએ કોર્પોરેશન તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.કોટ
વિસ્તારના રહીશો હવે લાચાર બની ગયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. એક સમયે
ભાજપનો ગઢ ગણાતા ખાડીયા વોર્ડને ભાજપના નેતાઓએ જ ખાલી કરાવ્યો હોવાની વિવિધ પોળના
રહીશોમા ચર્ચા સાંભળવા મળી રહી છે.
ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ,
ગેરકાયદેસર બાંધકામ છતાં ભાજપના નેતાઓ મૌન
દસ વર્ષમાં ખાડીયા વિધાનસભાનુ અસ્તિત્વ પુરુ થઈ ગયુ.વસ્તી
ઘટતા જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી ગઈ. અલગ અલગ પોળોમાં
ગેરકાયદેસર ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ હેરીટેજ મકાનો તોડી ગેરકાયદેસર કોમર્શિયલ
બાંધકામો થઈ ગયા છે. આ પાછળ કોની કોની પડદા પાછળ ભૂમિકા છે એ ભાજપના કહેવાતા ટોચના
નેતાઓ ખુબ સારી રીતે જાણે છે.છતાં તેમની સામે પક્ષ કાર્યવાહી કરતુ નથી.










