![]()
ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર
રાજ્ય પોલીસ વડાએ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલીના આદેશ કર્યા
નડિયાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો છે. જેમાં ખેડા જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડાયા છે. બદલીનો ગંજિપો ચિપાતા ખેડા જિલ્લામાંથી કુલ ૧૮ અધિકારીઓની વિદાય થઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓ અને વિવિધ શાખાઓમાંથી ૯ જેટલા નવા અધિકારીઓને ખેડામાં મૂકવામાં આવ્યા છે. આ ફેરબદલમાં લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓ તેમજ બઢતી પામેલા જવાનોનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય પોલીસ ભવન દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આદેશો મુજબ, ખેડા જિલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરોની કામગીરીની દિશા બદલાઈ છે. ખેડા જિલ્લામાંથી બદલી પામેલા અધિકારીઓમાં કે.કે. ઝાલા અને કે.આર. વેકરીયા જેવા પોલીસ ઇન્સ્પેક્ટરોને અમદાવાદ શહેર ખાતે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત એ.આર. ચૌધરીને પણ અમદાવાદ શહેર અને ડી.એન. ચુડાસમાને વડોદરા શહેર ખાતે મોકલવામાં આવ્યા છે. સુરત શહેર ખાતે કે.ડી. ભીમાણી અને વી.ડી. મંડોરાની બદલી કરવામાં આવી છે, જ્યારે પી.એસ. બરંડાને છોટા ઉદેપુર અને આર.એન. ખાંટને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. સબ ઇન્સ્પેક્ટર કક્ષાએ પણ ખેડા જિલ્લામાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. જિલ્લામાં કાર્યરત વિધિ શશીકાન્ત પરમારને સાયબર સેન્ટર ખાતે બદલવામાં આવ્યા છે તો જયેશભાઇ વકમતભાઇ વાઢીયાને રાજકોટ શહેરની જવાબદારી સોંપવામાં આવી છે. મહેસાણા ખાતે અંકુશ મનોજભાઇ ગેલોત અને છોટા ઉદેપુર ખાતે હેતલબેન માલજીભાઇ રબારીની નિમણૂંક કરવામાં આવી છે.
સી.આઇ.ડી. ક્રાઇમ જેવી મહત્વની શાખાઓમાં સમીર રમેશચંદ્ર ચૌહાણ અને રાધાબેન મનુભાઇ પરમારને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સંજયકુમાર બળદેવભાઇ દેસાઇને સુરત શહેર, અલ્પેશકુમાર બળવંતકુમાર મહેરીયાને પાટણ અને રીના ધર્મેન્દ્ર ચૌધરીને વાવ થરાદ ખાતે બદલી કરવામાં આવ્યા છે.
સામે પક્ષે ખેડા જિલ્લામાં ૯ અધિકારીઓની એન્ટ્રી થઈ છે. જેમાં પરેશકુમાર પ્રવિણકુમાર જાનીને જીયુવીએનએલ વડોદરાથી અને મિત્તલબહેન કિરીટભાઇ પટેલને દાહોદથી ખેડા ખાતે મૂકવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાએ ડી.ડી. શીમ્પીને કચ્છ પશ્ચિમ અને પી.એ. જાદવને જૂનાગઢથી ખેડા જિલ્લામાં સ્થાન મળ્યું છે. સાબરકાંઠાથી એ.જી. રાઠોડ અને રાજકોટ શહેરથી બી.એમ. ઝણકાટની બદલી પણ ખેડા જિલ્લામાં જાહેર હિતાર્થે કરવામાં આવી છે. આ ઉપરાંત એમ.જે. બારોટ, જી.પી. પટેલ અને જી.ડી. શાહને અનુક્રમે એસ.સી.આર.બી., અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાંથી ખેડા જિલ્લાની કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે આદેશ કરવામાં આવ્યા છે.










