![]()
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજ 18 માર્ચથી ત્રણ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમરેલીના વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, બગસરા પંથકના શાપર, સુડાવડ તો વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં ખેડૂતો તૈયાર પાક લેવાની તૈયારી કરી રહ્યા છે તેવામાં ગુજરાતનું વાતાવરણ બદલાયા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ
બીજી તરફ જામનગરમાં હવામાનમાં એકાએક ફેરફાર આવતા સમી સાંજે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા, ખાયડીમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોને ચણા ધાણા જીરૂમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
પડ્યા પર પાટુ
જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ, ડુંગળી સહિત અનેક તૈયાર પાકો પર વરસાદી છાંટાથી નુકસાની થવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. પડ્યા પર પાટુ સમાન આ સ્થિતિમાં મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે. હવે જોવાનું એ રહેશે કે કુદરત ક્યારે શાંત થાય છે અને જગતના તાતને કેટલી રાહત મળે છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, અત્યારે મુખ્યત્ત્વે બે સિસ્ટમ સક્રિય છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના કારણે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે. 19 માર્ચે તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત કચ્છમાં માવઠું પડી શકે છે. આ દિવસોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે ‘યલો વોર્નિંગ’ જાહેર કરી છે.








