અમદાવાદ, રવિવાર
સરદારનગરમાં નોબલનગર પાસે ગટરના ઢાંકણાના ખાડામાં એક્ટિવા સાથે ખાબકતાં આધેડનું મોત થયું હતું. ગટરનું ઢાકણું બદલ્યા બાદ ખાડા અંગે સ્થાનિક લોકોએ અવાર નવાર અરજીઓ આપી હતી છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને ખાડાની આજુબાજુ બેરીકેટ કે ભયનું બોર્ડ ન લગાડીને બેદરકારી દાખવી હતી.
ગટરના ઢાંકણાના ખાડાની અનેક રજૂઆત કરવા છતાં કોર્પોરેશને બેરીકેટ કે ભયું બોર્ડ લગાડયું નહી
કુબેરનગર એ વોર્ડમાં રહેતા આધેડ તા.૨૬ના રોજ રાતના સમયે વાહન લઈને સરદાનગર વિસ્તારમાં નોબલનગર નજીક આસારામ આશ્રમ પાસેથી વાહન લઇને પસાર થતા હતા. આ સમયે રોડની વચ્ચે ગટરના ઢાંકણા ઉપર ખાડો પડેલો હતો. અંધારામાં ખાડો દેખાયો ન હતો જેથી તેઓ મોપેડ સાથે ખાડામાં પડયા હતા.
તેઓને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલમાં આઇસીયુંમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, વી.ડી.વાઘેલાના જણાવ્યા મુજબ આ ખાડા બાબતે સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અવાર નવાર અરજીઓ કરીને રજુઆત કરી હતી તેમ છતાં કોર્પોરેનશ તંત્ર દ્વારા જરુરી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અકસ્માતના બનાવનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ટ્રાફિક પોલીસે જાણવા જોગ નાંેધ કરી વધુ તપાસ હાથ ધરી છે.










