![]()
Gandhinagar Firing Incident: ગાંધીનગરમાં ગ-2 સર્કલ નજીક નાણાકીય લેતીદેતીના વિવાદમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્લોટના સોદાના બાકી નીકળતા 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા શખસે ઉશ્કેરાટમાં આવી ગોળીબાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્લોટના સોદાના નાણાં બાબતે મામલો બિચક્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, ઉનાવા ગામના પત્રકાર જીતુ રાઠોડ અને તેમના સાથી હિતેશ રબારી પ્લોટના સોદા પેટે બાકી નીકળતા 20 લાખ રૂપિયાની વસૂલાત માટે પ્રદીપ જાડેજા પાસે આવ્યા હતા. ગાંધીનગરના ગ-2 સર્કલ પાસે આ નાણાકીય વ્યવહાર અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચર્ચા દરમિયાન મામલો એટલો હદ સુધી બિચક્યો હતો કે હિતેશ રબારીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પ્રદીપ જાડેજાને પેટના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા
ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ઇજાગ્રસ્ત પ્રદીપ જાડેજાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા (SP) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.










