![]()
વસંતની શરૂઆત સાથે ઉનાળાનો અહેસાસ કરાવતું હવામાન : કાંઠાળ સૌરાષ્ટ્રમાં પારો ઉંચકાયો : ઉ.ગુજરાતમાં તાપમાન મધ્યમ : રાજ્યમાં બપોરનો તાપ યથાવત્ રહેવા આગાહી
રાજકોટ, : ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા તા. 18થી વસંત ઋતુની શરૂઆત સાથે હવે ગરમી વધવા લાગી છે. આજે સેલ્સિયસનો પારો ઉંચકાયો હતો અને રાજ્યમાં સર્વાધિક તાપમાન રાજકોટ અને સુરતમાં 36.8 સે. નોંધાયું છે તથા અન્ય 9 સ્થળોએ 35 સે.થી વધુ તેમજ 6 સ્થળે 34 સે.ને પાર થતા લોકોને ઉનાળો શરૂ થઈ ગયાનો અહેસાસ થયો હતો.
સુરેન્દ્રનગર, કેશોદ જુનાગઢ અને અમરેલીમાં 36, કંડલામાં 35 જ્યારે પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભૂજમાં પારો 35 સે.ને પાર થયો હતો. એકંદરે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં તાપમાન તીવ્ર ગતિએ ઉંચકાયું હતું જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાન નિયંત્રીત રહ્યું હતું જ્યાં અમદાવાદ, ગાંધીનગરમાં 34, વલ્લભવિદ્યાનગરમાં 32 સે. નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠા નજીકના દ્વારકામાં 34, ભાવનગર, વેરાવળ, દિવમાં 33 સે. સે મહત્તમ તાપમાન નોંધાયું છે.મોસમ વિભાગ અનુસાર આગામીસપ્તાહ સુધી બપોરનું આ તાપમાન આંશિક વધઘટ સાથે જારી રહેશે.
સવારનું તાપમાન પણ ઉંચકાતા ઠંડી ગાયબ થઈ હતી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, દમણ, કંડલા પોર્ટ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત મોટાભાગના સ્થળોએ સવારનું ન્યુનત્તમ તાપમાન પણ 20 કે તેથી વધુ રહ્યું હતું. જેના કારણે લોકોએ રાત્રિના પણ પંખા ચાલુ કરવા પડયા હતા.
પખવાડિયા પછી ઉનાળાનો ધોમધખતો તાપ શરૂ થવાના અણસાર વચ્ચે દેશમાં અત્યારથી હવામાન સતત પલટાઈ રહ્યું છે, હિમાચલ ક્ષેત્ર, તમિલનાડુ, કેરલ, પુડુચેરી, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહૌલ જામ્યો છે , હજુ પણ આગાહી છે ત્યારે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે.










