![]()
Gujarat Corruption Cases : ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક વરવું સત્ય બહાર આવ્યું છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ સુધીના વિભાગોમાં ફેલાયેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ બની રહ્યું છે. ગયા વર્ષે 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો સૂચવે છે કે ભ્રષ્ટાચારની આ ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.
રોજમરા કામ માટે પણ લાખોની માંગણી: વર્ગ – 1 અધિકારીઓ પણ બાકાત નથી
ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા. તેમની તપાસ દરમિયાન 2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી, જે દર્શાવે છે કે સત્તાના જોરે કેવી કમાણી કરવામાં આવે છે. આ માત્ર મોટા અધિકારીઓ પૂરતું મર્યાદિત નથી, જન્મના દાખલાથી લઈને બીલ પાસ કરાવવા સુધીના પાયાના કામોમાં પણ તલાટી અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ કમિશન માંગી રહ્યા છે. આણંદમાં તો બે મહિલા પોલીસ કર્મીઓ પણ 1.10 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.
આંતરિક નિરીક્ષણનો અભાવ: સૌથી મોટો પ્રશ્ન એ છે કે શા માટે આ અધિકારીઓ નિર્ભય છે? એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ત્યારે જ એક્શનમાં આવે છે, જ્યારે કોઈ ફરિયાદ કરે, પરંતુ સરકારી વિભાગોમાં પોતાનું કોઈ આંતરિક સર્વેલન્સ તંત્ર હોય તેવું દેખાતું નથી. શિસ્તભંગના પગલાં લેવામાં થતો વિલંબ અને કોર્ટમાં નીચો કન્વિક્શન રેટ (સજાનો દર) ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે.
વિભાગ વાઈઝ ઝડપાયેલા અધિકારીઓ કર્મચારીઓની યાદી (જૂન 2026 સુધી)
વિવિધ સરકારી વિભાગોમાં ઝડપાયેલા કર્મચારીઓની સંખ્યા નીચે મુજબ છે:
વિભાગ ઝડપાયેલા અધિકારીઓ/કર્મચારીઓ
ગૃહ વિભાગ 11
પંચાયત 8
શહેરી વિકાસ 7
મહેસૂલ 6
રાજ્યના અન્ય વિભાગો 7
કેન્દ્ર સરકારના વિભાગો 5
કૃષિ અને સહકાર 3
માર્ગ અને મકાન 1
શિક્ષણ 1
કાયદા વિભાગ 1
કુલ 50+
36 ખાનગી વ્યક્તિઓની પણ ધરપકડ
સરકારી અધિકારીઓની સાથે વચેટિયા કે મદદગાર તરીકે ભૂમિકા ભજવતા 36 ખાનગી વ્યક્તિઓની પણ આ વર્ષે ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાઓમાં મોટાભાગે ગૃહ વિભાગ (ખાસ કરીને પોલીસ કર્મચારીઓ) સંડોવાયેલા છે, અને આ કેસોમાં કુલ રકમ આશરે રૂ. 65 લાખથી વધુ હોવાનો અંદાજ છે.
સત્તાધીશોને સીધા સવાલ?
શું સરકારી કચેરીઓમાં આંતરિક વિજિલન્સ તંત્ર માત્ર કાગળ પર જ છે?
લાંચ લેતા રંગેહાથ પકડાયા પછી પણ સજાનો દર કેમ નીચો રહે છે?
જનતા પાસેથી ટેક્સ લેવા છતાં, રૂટિન કામ માટે કેમ અલગથી ‘કમિશન’ આપવું પડે છે?
જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓના મનમાં કાયદાનો ડર નહીં બેસે, ત્યાં સુધી એસીબીની ટ્રેપ માત્ર ‘આંકડાબાજી’ બનીને રહી જશે. સવાલ એ છે કે, સિસ્ટમ ક્યારે સાફ થશે?










