![]()
Kailash Mansarovar Yatra 2026: નેપાળ માર્ગે પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર છે. હવે યાત્રાળુઓએ ચીન સરકારના ‘કોમન કિચન’માં જ જમવું પડશે. કેન્દ્રીય રસોડું ફરજિયાત બનાવવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂક્યો છે. આ ઉપરાંત યાત્રાળુ દીઠ વધારાનો રૂ. 25 હજાર સુધીનો ચાર્જ વસૂલવા નક્કી કરાયું છે. આ કારણોસર પ્રધાનમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાંથી 3થી 4 હજાર શ્રદ્ધાળુઓ
પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે ગુજરાતમાંથી 3થી 4 હજાર જેટલા શ્રદ્ધાળુઓ પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રાએ જાય છે. હાલ આ કાઠમંડુથી યાત્રાનું પેકેજ રૂ. 2.40 લાખ સુધીનું છે. યાત્રાની વ્યસ્ત સિઝનમાં દરેક મુખ્ય પડાવ અને સ્થળો પર એકસાથે સેંકડો યાત્રાળુઓ પહોંચતા હોય છે.
કોમન કિચન હવે ફરજિયાત
હવે નેપાળ માર્ગે જતાં કૈલાસ માનસરોવર યાત્રાળુઓ માટે ચીન સરકારે નવો નિયમ ઘડ્યો છે જે મુજબ હવે તમામ શ્રદ્ધાળુઓએ કોમન કિચનમાં જમવું પડશે. ટ્રાવેલ્સ એજન્ટોનું કહેવું છે કે, અત્યાર સુધી અત્યાર સુધી શ્રદ્ધાળુઓની જરૂરિયાત મુજબ અલગ-અલગ સેવાઓ આપતા હતા. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓ પોતાની પ્રાદેશિક ખાણીપીણી, ધાર્મિક માન્યતાઓ જેમ કે સ્વામિનારાયણ કે જૈન ભોજન સહિત આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને પ્રાધાન્ય આપતા હોય છે.
અવ્યવસ્થિત આયોજનથી કલાકોનો વિલંબ
કોમન કિચનમાં મોટી સંખ્યામાં લોકોને સમયસર અને ગરમાગરમ ભોજન પૂરું પાડવું મુશ્કેલ બનશે. અવ્યવસ્થિત આયોજનને કારણે ભોજન આપવામાં કલાકોનો વિલંબ થશે. કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓમાં ભારે મુશ્કેલી વેઠવી પડે તેમ છે. કોમન કિચનને લીધે વ્યક્તિગત સેવા અને ભોજનની ગુણવત્તા જાળવવી અશક્ય બની જશે.
આ પણ વાંચો: તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન
પ્રતિ યાત્રાળુ 25,000નો વધારાનો બોજ
આ સાથે જ પ્રતિ યાત્રાળુ દીઠ રૂ. 25,000 સુધી વધારાનો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. માથાદીઠ વધારાનો ફરજિયાત ખર્ચ સામાન્ય શ્રદ્ધાળુઓને પરવડે તેમ નથી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને પરિવહન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કૈલાસ માનસરોવરની યાત્રા પણ સામાન્ય વર્ગ માટે મોંઘી બની ગઈ છે. શ્રદ્ધાળુઓની સાથે ટ્રાવેલ્સ એજન્ટો આ નિર્ણયને અવ્યવહારુ ગણાવી રહ્યા છે ત્યારે આ નિર્ણય પર તાત્કાલિક પુનઃવિચારણા કરવામાં આવે અને કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ ઉઠી છે.









