અમદાવાદ,શુક્રવાર
ગાંધીનગર, કલોલ અને ગાંધીનગરમાં છેલ્લાં ૩ મહિના દરમિયાન ૩૨થી વધુ ટુ વ્હીલરની ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી લેવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા કુલ ૩૨ જેટલા વાહન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે ચોરીના વાહનો સસ્તામાં વેચાણ કરતો એક રીઢો ગુનેગાર અંબાલાલ રાવળ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ચોરીના વાહનો તેની પાસે છે. જેના આધારે પીઆઇ એસ જે જાડેજા અને તેમના સ્ટાફે અંબાલાલને ઝડપીને તેની પાસેથી બેથી ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. ત્યારબાદ પુછપરછ કરતા તેણે ગાંધીનગર, કલોલ અને દહેગામમાંથી કુલ ૩૨ જેટલા ટુ વ્હીલર ચોરી કરીને ડાકોર, હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કર્યા હતા.
તે આરસી બુક થોડા દિવસમાં આપવાનું કહેતો હતો. પોલીસે તેને સાથે રાખીને અલગ અલગ સ્થળો પરથી ચોરી કરાયેલા ૩૨ ટુ વ્હીલર્સ જપ્ત કર્યા હતા. આરોપી ખાસ કરીને સવારે આઠ થી દશ વચ્ચેના સમયગાળામાં જ ડુપ્લીકેટ ચાવીથી વાહનો ચોરી કરતો હતો. તેની પાસેથી જપ્ત કરાયેલા ૩૨ ટુ વ્હીલર્સ પૈકી ૧૦ સ્કૂટરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે અન્ય ટુ વ્હીલર બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે.ઝડપાયેલા આરોપી વિરૂદ્ધ અગાઉ પણ ૨૮ જેટલા ગુના ગાંધીનગર, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં નોધાઇ ચુક્યા છે.










