![]()
– તૈયારીઓનું જિલ્લા કલેક્ટર દ્વારા થઈ રહેલું મોનિટરીંગ
– વિવિધ કમિટીઓની કમાન વર્ગ-૨ અને ૩ના અધિકારીઓને સોંપાઈ, પીએમના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર ઊંધા માથે
ભાવનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે ભાવનગરની મુલાકાતે આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર ઊંધા માથે થઈ ગયું છે અને બેઠકોનો દૌર વધારી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીની શનિવારે ભાવનગર મુલાકાતની મિનિટ્સ ટુ મિનિટ્સનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. પરંતુ પ્રધાનમંત્રી સંભવત્ સવારે ૧૦-૩૦ કલાકે ભાવનગર આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓનું જિલ્લા કલેક્ટર દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ૨૭ કમિટીની રચના થઈ છે, તેની કમાન વર્ગ-૨ અને વર્ગ-૩ના અધિકારીઓને સોંપાઈ છે. તેમની નીચે વર્ગ-૪ના કર્મચારીઓ પણ અલગ-અલગ ફરજ બજાવશે. પીએમના કાર્યક્રમને લઈ વહીવટી અધિકારીઓ, રાજકીય પક્ષો, નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર તંત્રના ઉચ્ચ અધિકારીઓએ બેઠકો યોજવામાં આવી રહી છે.
ખાડા બધા પૂરાઈ ગયા રે, અરે સાહેબ આવે છે…
‘ખાડા બધા પૂરાઈ ગયા રે, અરે સાહેબ આવે છે…’ પીએમ મોદીની ભાવનગર મુલાકાતનો કાર્યક્રમ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચીત બન્યો છે. યુવાનો રીલ્સ બનાવી રાજકારણીઓ અને સરકારી તંત્રના પાપે ભાવનગરના થયેલા ભુંડા હાલની વેદના વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રશ્નોની હારમાળાનું લાંબુ લિસ્ટ મુકી સાહેબ (પ્રધાનમંત્રી) ત્રણ-ચાર મહિને ભાવનગર આવતા રહે તો શહેરની સૂરત બદલાઈ જાય તેવો કટાક્ષ પણ કરી રહ્યા છે.










