Jammu Kashmir Tourism : જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સુરક્ષાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ સ્થળો બંધ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે તે હુમલામાં 25 પ્રવાસીઓ સહિત કુલ 26 લોકોના મોત થયા હતા.
કાશ્મીરમાં 11 અને જમ્મુમાં 3 સ્થળો ખોલાયા
ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા એજન્સીઓ સાથેની ચર્ચા અને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 14 સ્થળોમાં કાશ્મીર વિભાગના 11 અને જમ્મુ વિભાગના 3 પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.

બરફ હટ્યા બાદ અન્ય સ્થળો ખોલાશે
આ ઉપરાંત, અન્ય કેટલાક સ્થળો પરથી બરફ હટ્યા બાદ તેને પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી આશા છે. અગાઉ જૂન મહિનામાં પહેલગામના કેટલાક હિસ્સા સહિત 16 સ્થળો અને સપ્ટેમ્બર મહિનામાં અરુ ઘાટી અને કમાન પોસ્ટ જેવા 7 સ્થળોને તબક્કાવાર રીતે ખોલવામાં આવ્યા હતા.

કયા સ્થળો ખોલાયા
- બડગામ જિલ્લો: યુસમર્ગ અને દૂધપથરી
- શ્રીનગર: અસ્તાનપોરા અને ટ્યૂલિપ ગાર્ડન
- શોપિયાં: પીર કી ગલી, દુબજન અને પદપાવન
- ગંદરબલ: થાજવાસ ગ્લેશિયર અને હંગ પાર્ક
- કોકરનાગ: દાંડીપોરા પાર્ક
- બારામુલા: વુલર / વટલાબ
- રિયાસી જિલ્લો: દેવી પિંડી
- રામબન: માહૂ મંગત
- કિશ્તવાડ: મુગલ મેદાન
બરફ હટ્યા બાદ ખુલનારા સ્થળો
કાશ્મીર વિભાગના ગુરેઝ, અથવાટૂ અને બંગુસ તથા જમ્મુ વિભાગના રામબન સ્થિત રામકુંડને બરફ હટ્યા પછી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.
આ પણ વાંચો : હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ










