![]()
– 13 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં
– દલિત વિદ્યાર્થીના આપઘાત મામલે સમાજે ચૂંટણી બહિષ્કારના સામૂહિક શપથ લીધા, તંત્રની ભેદી ચૂપકીદી સામે ભારે આક્રોશ
નડિયાદ : નડિયાદના મંજીપુરામાં રહેતા નર્સિંગના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત પ્રકરણમાં ૧૩ દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતા મામલો વધુ બિચક્યો છે. ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી બહાર શરૂ થયેલા ધરણાં પ્રદર્શનના બીજા દિવસે પીડિત પરિવાર અને દલિત સમાજના અગ્રણીઓએ એકસૂરે આગામી ચૂંટણીઓના બહિષ્કારની પ્રતિજ્ઞાા લીધી છે. ગત રાત્રિએ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ધરણાં સ્થળની મુલાકાત લઈને પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યાં સુધી જવાબદારો જેલના સળિયા પાછળ નહીં જાય ત્યાં સુધી આંદોલન સમેતવાનો પરિવારે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
નડિયાદમાં રહેતા અને બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જય પાટીલે ગત ૧ ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈ નોટમાં કોલેજના મેડમ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો અને ખોટા આક્ષેપો કરી બદનામ કરવાની ધમકી અપાતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ બનાવ બાદ મૃતકના પિતાએ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જોકે, બનાવના આટલા દિવસો બાદ પણ પોલીસ માત્ર તપાસના બહાના હેઠળ સમય પસાર કરી રહી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. શુક્રવારે ‘જય ભીમ’ના નારા સાથે કલેક્ટર કચેરીનો પુનઃ ઘેરાવ કરાયો હતો. અધિક કલેક્ટરની મુલાકાત દરમિયાન દલિત અગ્રણીઓ અને જયના પરીવારજનોએ ભારોભાર આક્રમક રીતે રોષ વ્યક્ત કર્યો હતો. જય પાટીલના માતાએ અધિક કલેક્ટરને જણાવ્યુ હતું કે, તમારો દિકરો હોત તો તમે આ રીતે શાંતિથી બેસી રહેતા, એમ આક્રમક રીતે પોતાની વેદના ઠાલવી હતી.
બીજી તરફ આરોપીઓએ ધરપકડથી બચવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. કલેક્ટર કચેરી બહાર યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં શુક્રવારે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો હોવા છતાં સત્તાધારી પક્ષ કેમ મૌન છે? પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલો વિલંબ શંકા પ્રેરે તેવો છે અને આ મામલે સત્વરે નક્કર કાર્યવાહી થવી જોઈએ.
આજે દલિત સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થશે
શુક્રવારે મોડી સાંજ સુધી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ પ્રશાસનના પ્રતિનિધિઓ દ્વારા દલિત અગ્રણીઓની મુલાકાત કરવાની અટકળો હતી. મોડી સાંજ સુધી તંત્રના કોઈ જવાબદારોએ મુલાકાત ન કરતા હવે આ સમગ્ર મામલે આજે શનિવારે કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં દલિત અગ્રણીઓને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા આહ્વાન કરાયું છે. આજે શનિવારે કલેક્ટર કચેરીની બહાર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવાની શક્યતાઓ છે.
મહા ગુજરાત મેડિકલ સોસાયટીના વહીવટમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોનો દબદબો
નડિયાદની પ્રતિષ્ઠિત મહા ગુજરાત મેડિકલ સોસાયટીમાં ભાજપ અને કોંગ્રેસના માંધાતાઓ મહત્વના હોદ્દાઓ પર બિરાજમાન છે. જેમાં પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, ઉપપ્રમુખ તરીકે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નટુભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન પદે ભાસ્કરભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન પદે સુમનભાઈ શેખ અને સેક્રેટરી તરીકે ડૉ. અરવિંદભાઈ વ્યાસ અને અનુપભાઈ દેસાઈ વહીવટ સંભાળે છે. આ સંસ્થા સાથે જોડાયેલા કોલેજના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો હોવા છતાં આટલા દિવસોથી કોઈ કાર્યવાહી નહીં થઈ તે પાછળ કયું રાજકારણ જવાબદાર છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.










