![]()
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક 32 વર્ષના એક યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ પોતાના ઘેર હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ધર્મેન્દ્ર ગોપાલભાઈ જાદવ નામના ૩૨ વર્ષના યુવાનને નિંદ્રાધીન અવસ્થામાં જ હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. પોતે સૂઈ ગયા બાદ કાંઈ બોલતો ન હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનો જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે જી.જી. હોસ્પિટલમાં જ નોકરી કરતા મૃતકના પિતા ગોપાલભાઈ જીવણભાઈ જાદવે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી, આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.










