![]()
જામનગર શહેરના સર્કિટ હાઉસના પાર્કિંગમાં શનિવારે એક શ્વાનના બચ્ચા (ગલુડીયા)ને કોઈ શખસોએ ક્રુરતા પુર્વક મારમારીને પગ કાપીને ફેંકી દીધેલી હાલતમાં મળી આવતાં પશુપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. જે અંગેની પશુપ્રેમીઓએ મહાનગરપાલિકા અને પોલીસને પણ જાણ કરી હતી.
શહેરના મધ્યમાં આવેલા લાલબંગલાના પાછળના ભાગ સર્કિટ હાઉસમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકિય નેતાઓ ઉતરતા હોય છે. ત્યારે આ સરકીટ હાઉસના પાર્કિંગમાં જ કોઈ શખસો દ્વારા એક શ્વાનના બચ્ચાને ક્રુરતા પુર્વક માર મારીને પગ કાપી નાંખીને મૃત હાલતમાં મળી આવ્યું હતું. શ્વાનના મૃત હાલતમાં મળી આવેલ બચ્ચાના કારણે પશુપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પશુપ્રેમી હિરેનભાઈ ઝાલા સહિતના પહોંચી ગયા હતા. બનાવની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ જામ્યુકોના એસ્ટેટ શાખાને જાણ કરવામાં આવતા તેઓએ મૃત શ્વાનના બચ્ચાનો નિકાલ કર્યો હતો. શહેરમાં પશુપ્રેમીઓ સહિતના લોકોમાં રોષ વ્યાપી ગયો છે.










