![]()
Jamnagar: જામનગરમાં પાણી ચાર્જ અને મિલકત વેરાની બાકી વસુલાત અન્વયે મહાનગર પાલિકા દ્વારા કડક વસુલાત કરવામાં આવી રહી છે, અને મિલકત સીલ તથા પાણી સપ્લાય બંધ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં અનેક સોસાયટીઓમાં પાણી સપ્લાય બંધ કરી પાણીના વાલ્વ જ સીલ કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ આજે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર આવી રહ્યા છે, ત્યારે રાજકીય દબાણના કારણે તમામ સોસાયટીના પાણીના વાલ્વના સીલ ગઈકાલથી જ ખોલી નાખવામાં આવ્યા છે. અને પાણી સપ્લાય પુનઃ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના વિકાસ માટે નાણાની જરૂર રહે છે, અને હાલ વ્યાજ માફી યોજના પણ અમલમાં છે. આથી નગરજનોએ પોતાના ચુકવવાના બાકી વેરાની રકમ સત્વરે ચુકવી આપી શહેરના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. જો નગરજનો વેરો ભરપાઈ કરે નહીં તો વિકાસ કામોને વિપરીત અસર થઈ શકે છે. આથી નગરજનોએ પણ જાગૃતિ દાખવી બાકી રોકાતા નાણાં ભરપાઈ કરી દેવા અત્યંત જરૂરી છે.










