![]()
Jamnagar News: જામનગર શહેરના વાલકેશ્વરી નગરી મેઇન રોડ વિસ્તારમાં ભર બપોરે એક અજાણ્યા પુરુષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી
બનાવ અંગેની જાણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મૃતકની ઓળખ થઈ શકી નથી!
પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માત, અચાનક બિમારી, કુદરતી મૃત્યુ કે અન્ય કોઈ કારણસર મોત થયું છે કે કેમ? તે સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્ણય
પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ વધુ તપાસ બાદ મોતના ચોક્કસ કારણ અંગે સ્પષ્ટતા થશે. સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ તેના પરિવારજનો સુધી પહોંચવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










