![]()
Jamnagar : જામનગરમાં રહેતી એક મહિલાએ ઘરની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જે પેટે મોટી રકમ ચૂકવી આપવી હોવા છતાં પણ વધુ પૈસાની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વ્યાજખોર મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ક્રિશાબેન મનોજભાઈ ચૌહાણને પોતાની ઘરની આર્થિત તંગ પરિસ્થિતના કારણે પૈસાની જરૂરિયાત થતાં શહેરની આનંદ કોલોનીમાં રહેતી પૂજાબા ઝાલા પાસે કેટલીક રકમ વ્યાજે લીધી હતી. જે રકમ પેટે વ્યાજ સહિત અનેક ગણી રકમ ચૂકવી હોવા છતાં પણ તેણી પાસે વધુ પૈસાની માગણી કરવામાં આવતી હતી. અને આપવામાં આવેલા ચેકમાં વધુ રકમ ભરીને બેંકમાં જમા કરાવી દેવાની ધમકી અપાતી હતી. તેમજ ફોન પર અને ઘરે આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. આ બનાવ અંગે ક્રિશાબેન ચૌહાણે વ્યાજખોર મહિલા પૂજાબા ઝાલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. બી.એલ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.










