![]()
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે વારસાવીરા પાર્ક શેરી નંબર -1માં રહેતા અને જામનગરના ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસ તૃપ્તિબેન ધીરજલાલ પડિયા ના રહેણાંક મકાનમાંથી તાજેતરમાં સાડા પાંચ લાખની માલમતા ની ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. જેમાં શકદાર તરીકે ન્યાયાધીશ ની કચેરીમાં જ પટાવાળા તરીકે નોકરી કરતા તેમજ ઘરનું રાખવું કરવા માટે રાખેલા આકાશ બીપીનભાઈ કબીરા સામે શંકાની સોઈ દર્શાવાઇ છે, અને સીટી સી. ડિવિઝન ના પી.આઇ. એન.બી. ડાભી અને તેઓની ટીમ સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફેમિલી કોર્ટ ના ચીફ જસ્ટિસ તૃપ્તિબેન પડિયા કે જેઓના મકાનની ફેરબદલી કરવામાં આવતી હતી, અને તમામ સામાન પેક કરીને એક મકાનથી બીજા મકાનમાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે ન્યાયાધીશ ની અલગ અલગ કોર્ટમાં ફરજો હોવાથી તેઓની પણ ઘરે અને અન્ય તાલુકા મથકોમાં અવર-જવર રહેતી હતી.
જે 18.11.2025થી 26.11.2025ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે કોઈ તસ્કર દ્વારા બે લાખની રકમ ઉપરાંત સોના ચાંદીના અલગ અલગ ઘરેણા સહિત પાંચ લાખ પચીસ હજારની માલમતા કે જે બેગ તથા અન્ય પાઉચ વગેરેમાં રાખવામાં આવેલા હતા, ત્યાંથી ચોરી કરી લઈ જવાયા છે. એક મકાનના સીસીટીવી કેમેરામાં પોતાની કચેરીમાં જ પટાવાળા તરીકે ફરજ બજાવતા આકાશ બીપીનભાઈ કબીરા, કે જેને ઘરનું રખોપું કરવાની પણ જવાબદારી સોંપી હતી. જેની શંકાસ્પદ હીલ ચાલ જોવા મળી હતી, તેથી શકદાર તરીકે તેનું નામ અપાયું છે, અને પોલીસ દ્વારા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.










