![]()
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આંગણવાડીના તાળા તોડીને ગેસનો બાટલો અને ત્રણ તેલના ડબ્બાઓની ચોરીમાં પકડાઈને જેલમાં ગયેલા જામખંભાળીયાની સકારી સ્કુલના શિક્ષક દ્વારા કરાયેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.
ગત તા. 5 જૂલાઈ-2025ના રોજ સિક્કા ગામે ચાલતી આંગણવાડી નંબર-185માં આંગણવાડી કેન્દ્રના તાળા તોડીને કોઈ શખસે ગેસના બાટલા અને ૩ તેલના ડબ્બાની ચોરી કરી હોવાની મંજુલાબેન ઓડિચ નામના મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરીને ખંભાળીયાના સરકારી શાળાના શિક્ષક કાંતિલાલ ડાયાલાલ નકુમને પકડી પાડયો હતો. જે બાદ આરોપી શિક્ષક જેલમાં ગયો હતો. જ્યાંથી રેગ્યુલર જામીન મુક્તિ માટે અરજી કરતાં તેની સુનાવણીમાં સરકારી વકીલ રાજેશભાઈ વશીયરએ અદાલતને જણાવ્યું હતું કે, આ આરોપી સામે અગાઉ ૧૬ જેટલા ગુના નોંધાયા છે. આરોપી ગુના કરવાની ટેવવાળો છે. તેના વિરૂધ્ધ પુરતા પુરાવા મળતાં ચાર્જશીટ મુકાયું છે. આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે, તો ફરી આવા ગુના કરશે.
અદાલતે બન્ને પક્ષોને સાંભળીને સરકારી વકીલની રજુઆતો ધ્યાને લઈને આરોપી શિક્ષકની જામીન અરજી રદ કરી હતી.










