![]()
Jamnagar : જામનગર નજીક આવેલ દરેડ જીઆઇડીસી (ફેઝ-૩) વિસ્તારમાં ‘એલ રોડ મિત્ર મંડળ’ દ્વારા સમાજ સેવા માટે એક અનોખી અને અત્યંત પ્રેરણાદાયક પહેલ શરૂ કરવામાં આવી છે. આ મંડળનું સંચાલન કરતા મનસુખભાઈ પટેલ અને એલ રોડ પર આવેલા કારખાનાઓના શેડ ધારક મિત્રોના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ફળોના રાજા ગણાતી કેરીનું હજારો કિલો વેચાણ કરવામાં આવે છે, અને તેમાંથી મળતા તમામ નફાનું સત્કાર્યોમાં સો ટકા દાન કરી દેવામાં આવે છે.
મનસુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના કારખાનાની જગ્યા પર જ કેરીની ગાડીઓ ઉતારીને અત્યંત નજીવા નફા સાથે ઉદ્યોગકાર મિત્રો અને પરિચિતોમાં તેનું વિતરણ કરે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે એક વિશેષ વૉટ્સએપ ગ્રુપ પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી કેરીનો નવો જથ્થો (લોટ) આવતાં જ સભ્યોને જાણ કરવામાં આવે છે અને લોકો કારખાનેથી સીધી ડિલિવરી મેળવી લે છે. નોંધનીય છે કે, સેવાના આ અવિરત પ્રવાહમાં ચાલુ વર્ષે આ જૂથ દ્વારા અંદાજિત 80,000 કિલો જેટલી ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરીનું સફળતાપૂર્વક વેચાણ કરવામાં આવ્યું છે.
આ વ્યવસાયિક પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અને માત્ર સેવા છે. કેરીના વેચાણ થકી એકત્ર થતા નફાના ભંડોળનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના ઉત્કર્ષ તેમજ જીવદયાના પરમાર્થ કાર્યોમાં વાપરવામાં આવે છે. આ નફામાંથી અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને બટુક ભોજન, ગાયો માટે પીવાના પાણીની કુંડીઓનું નિર્માણ, પક્ષીઓ માટે માળા, ચણ અને પાણીના કુંડાની વ્યવસ્થા તેમજ માતા-પિતા વિહોણા નિરાધાર બાળકોની શિક્ષણ ફી ભરવા જેવી ઉમદા કામગીરી કરવામાં આવે છે.
આ સેવાકીય યાત્રા અંતર્ગત જ ગઇકાલે એલ રોડ મિત્ર મંડળના તમામ સભ્યોના સાથ-સહકારથી અલિયાબાડા ખાતે આવેલી અનુદાની નિવાસી પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ સેવાયજ્ઞને વધુ વ્યાપક બનાવતા આજે ખંભાળિયા રોડ પર સ્થિત નાલંદા આશ્રમની સ્કૂલના બાળકો અને ‘વડીલ વાત્સલ્ય ધામ’ ખાતે આશ્રય લઈ રહેલા નિરાધાર વૃદ્ધોને પણ સ્વાદિષ્ટ ભોજન પીરસવાનું ઉમદા આયોજન કરવામાં આવ્યું છે, જે અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.










