![]()
Jamnagar Hit and Run : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક વધુ એક યુવાનનો કારની હડફેટે ચડી જતાં ભોગ લેવાયો છે, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ ખેડા તાલુકાના ગળતેશ્વર ગામના વતની અને મનરોગી એવા મણીભાઈ જેસાભાઇ રાઠોડ નામના 48 વર્ષના યુવાનને તેઓ પગપાળા ચાલીને ધ્રોળ નજીકથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી આવી રહેલી જી.જે. 3 ઇ.એલ. 3218 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થઈ હતી, આથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ મહેન્દ્રભાઈ જેસાભાઇ રાઠોડએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










