![]()
Jamnagar News: સોશિયલ મીડિયા પર ભગવાન શિવના સાક્ષાત્કાર, અનોખી ભવિષ્યવાણીઓ અને મંત્રસિદ્ધિના અસાધારણ દાવાઓ કરીને ચર્ચામાં આવેલી જામનગરની મહિલા મમતાબહેન દવેના દાવાઓનો ‘ભારત જન વિજ્ઞાન જાથા’એ પર્દાફાશ કર્યો છે. પોલીસની હાજરીમાં થયેલી કાર્યવાહી દરમિયાન મહિલા પોતાના કોઈપણ દાવા અંગે વૈજ્ઞાનિક કે તથ્ય આધારિત પુરાવા રજૂ કરી શકી નહોતી. અંતે પોતાની ભૂલ સ્વીકારીને મહિલાએ લેખિતમાં માફીનામું આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર શું દાવા કરતી હતી મહિલા?
જામનગરના સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રહેતા મમતાબહેન છેલ્લા કેટલાક મહિનાઓથી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને અસાધારણ વાતો કરતી હતી. તે પોતાના વીડિયોમાં દેશના વડાપ્રધાન બનવાથી લઈને ગુજરાત સરકારના રાજકીય ભવિષ્ય, ભ્રષ્ટાચાર નિવારણ, લોકોના પ્રશ્નોનો 24 કલાકમાં ઉકેલ અને ભૂત-ભવિષ્ય જાણી શકવાની શક્તિ જેવી અનેક અસાધારણ વાતો કરતી હતી. આ ઉપરાંત મંત્રજાપ દ્વારા સિદ્ધિ અપાવવાના અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના દાવા પણ કરવામાં આવતા હતા. આ દાવાઓ અંગે રાજ્યભરમાંથી અનેક લોકો દ્વારા ભારત જન વિજ્ઞાન જાથાને રજૂઆતો મળતાં જાથાએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.
વિજ્ઞાન જાથા અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું
આ ભ્રામક દાવાઓ અંગે રાજ્યભરમાંથી ભારત જન વિજ્ઞાન જાથાને અનેક ફરિયાદો અને રજૂઆતો મળી હતી. જે બાદ જાથાના ચેરમેન ઍડ્વૉકેટ જયંત પંડ્યાએ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને જામનગર પોલીસ તંત્રનો સંપર્ક કર્યો હતો. જામનગર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિજ્ઞાન જાથાની ટીમ મહિલાના નિવાસસ્થાને પહોંચી હતી અને ત્યારબાદ તેમને કાયદેસરની ચર્ચા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જામનગર: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં પીડિતાને 8 માસનો ગર્ભ, બાળકના જન્મ બાદ થશે DNA ટેસ્ટ
પુરાવા ન મળતા આખરે લેખિતમાં માંગી માફી
પોલીસ સ્ટેશનમાં કાયદાકીય જોગવાઈઓ અને અંધશ્રદ્ધા ફેલાવવાના કારણે થતા ગંભીર પરિણામોની સમજણ આપવામાં આવ્યા બાદ મમતાબહેન ભાંગી પડ્યા હતા. તેમણે લેખિતમાં સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયા પર તેમના દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ તદ્દન બિનઆધારભૂત હતા અને તેની પાછળ કોઈ પુરાવા નથી. તેમણે જાહેરમાં લોકોની માફી પણ માંગી લીધી છે.
માનસિક સ્થિતિ અંગે વિજ્ઞાન જાથાનું અવલોકન:
વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન મહિલામાં લાંબા સમયથી ઊંઘનો ભારે અભાવ, સતત એકધારું બોલવાની આદત અને પોતાની જ વાત સાચી હોવાનો આગ્રહ રાખવાની વૃત્તિ જેવી બાબતો નોંધી હતી, જે મનોવૈજ્ઞાનિક અસંતુલન તરફ ઇશારો કરે છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર તબીબી કે મેડિકલ અભિપ્રાય જાહેર કરાયો નથી.
વિજ્ઞાન જાથાનો 1287મો સફળ પર્દાફાશ
ભારત જન વિજ્ઞાન જાથાએ આ સફળ ઓપરેશનને અંધશ્રદ્ધા નિર્મૂલન તરફ પોતાનો 1287મો સફળ પર્દાફાશ ગણાવ્યો છે. જાથાએ જામનગર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફનો આભાર માનવાની સાથે જ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે ચમત્કારો કે અલૌકિક શક્તિઓના નામે લોકોને છેતરતા આવા તત્ત્વો સામે પુરાવા હોય તો તાત્કાલિક જાથાનો સંપર્ક કરવા આગળ આવે.









