![]()
Jamnagar News: NEET UG પેપર લિક કેસને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર ડી.કે.વી. સર્કલ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા નજીક નીટ પરીક્ષા મુદ્દે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા ગુરુવારે(14 મે) અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં AAPની વિદ્યાર્થી પાંખે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
જામનગરમાં NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરોએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પરીક્ષા પ્રણાલીને કલંકિત કરનાર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા તેમજ ફાંસીની સજા કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વિરોધને નવતર સ્વરૂપ આપવા માટે કાર્યકરોએ ત્યાંથી પસાર થતાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી’ વહેંચી હતી. AAPની વિદ્યાર્થી પાંખે જણાવ્યું કે, ‘પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભેળસેળ થઈ ગયું છે, ત્યારે પ્રતિકાત્મક રીતે ‘ઝાલમુરી’નું વિતરણ કરવામાં આવ્યું હતું.’
આ પણ વાંચો: અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વાવટા બતાવ્યા
AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી
વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે રમખાણ કરનારાઓ સામે સરકાર તાત્કાલિક કડક કાર્યવાહી કરે અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં આવે. વિદ્યાર્થીઓના હકો માટે આગળ પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે.’










