Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે રાહત આપતા ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપી દીધા છે. જામીનના મળ્યા બાદ બુધવારે (24 સપ્ટેમ્બર) ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે. જેલમાંથી મુક્તિ સમયે વસાવાના સમર્થકો અને આપ નેતાઓ તેનું સ્વાગત કરવા જેલની બહાર પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ચોંકાવનારી ઘટના: પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા

ઢોલ-નગારા સાથે ચૈતર વસાવાનું સ્વાગત
ચૈતર વસાવને હાઇકોર્ટે જામીન આપ્યા બાદ બુધવારે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક અનોખું દ્રશ્ય જેલ પરિસરની બહાર જોવા મળ્યું હતું. જેમાં ચૈતર વસાવાનું પરિવાર, સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. લોકોએ વાજતે-ગાજતે વસાવાનું સ્વાગત કર્યું અને નાચતા-કૂદતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
કોર્ટે આપી શરતી જામીન
દેડીયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. વસાવાની નર્મદા પોલીસે 5 જુલાઈએ ધરપકડ કરી હતી. લગભગ અઢી મહિના જેલમાં રહ્યા બાદ વસાવાને જામીન મળ્યા છે. પોલીસે નીચલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. હાઇકોર્ટે કેટલીક શરતો સાથે વસાવાને જામીન આપ્યા હતા. મુખ્ય શરત એ છે કે તેઓ આગામી એક વર્ષ સુધી તેમના મતવિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં. આ વસાવા માટે મોટો ઝટકો છે.

આ પણ વાંચોઃ વાલીઓ ચેતજો! અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું, પાલનપુરથી નરાધમ પકડાયો

શું હતો સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈએ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT(આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. વચ્ચે ફક્ત વિધાનસભાના સત્રમાં હાજરી આપવા પૂરતી તેમને જામીન આપવામાં આવી હતી.










