![]()
અપક્ષ સહિત ૧૮૯ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે ૬
પાલિતાણા ન.પા.માં ૮, મહુવા ન.પા.માં ૬ અને વલ્લભીપુર ન.પા.માં ૦૪ સીટ ભાજપની જોળીમાં
ભાવનગર- ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧૮ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. પહેલેથી હાર ભાળી ગયેલા હરીફ ઉમેદવારોની ચૂંટણી લડવામાં પાછીપાનીથી ભાજપના ઉમેદવારોની જોળીમાં જીત આવી ગઈ છે.
પાલિતાણા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, મહુવા ન.પા.ના ૯ વોર્ડની ૩૬ અને વલ્લભીપુર ન.પા.ના ૬ વોર્ડની ૨૪ મળી કુલ ૯૬ બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે. તેમાં ૨૭૮ ઉમેદવારે ૨૯૨ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ ફોર્મ ચકાસણીમાં ત્રણેય ન.પા.માં કુલ ૭૬ ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને ગઈકાલે ૧૫મીએ ૯ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ત્રણ પાલિકાની ચૂંટણીનું અંતિમ ચિત્ર સામે આવ્યું હતું. ૯૬ પૈકીની ૧૮ બેઠક બિનહરીફ થતાં હવે ૨૬મીએ ૭૮ સીટ ઉપર ચૂંટણી થશે. આ ૭૮ બેઠક પર કબજો કરવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતનો સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) અને અપક્ષના છ મળી ૧૮૯ ઉમેદવાર એડીચોટીનું જોર લગાવશે. મતદાનને આડે માત્ર ૯ દિવસ જ બાકી રહ્યા હોય, હાલ તમામ ઉમેદવારો, પક્ષો, કાર્યકરો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે.
પાલિતાણામાં ચૂંટણી લડયાં વિના ભાજપના આઠ ઉમેદવાર જીત્યા
પાલિતાણા ન.પા.ના ૯ વોર્ડની ૩૬ બેઠક પૈકી આઠ બેઠક ભાજપે બિનહરીફ કરી લીધી છે. જેમાં પાંચ મહિલા ઉમેદવારો અને ત્રણ પુરૃષ ઉમેદવાર ચૂંટણી લડયાં વિના જ જીતી ગયા છે. વોર્ડ નં.૧માં કિરણબેન ગોવિંદભાઈ કુકડેજા, આરીફાબેન અલારખભાઈ નાઝા, વોર્ડ નં.૨માં કોમલબેન કેતનભાઈ પરમાર, રેખાબેન મહેન્દ્રભાઈ મારૃ, જયપાલસિંહ હરદેવસિંહ ગોહિલ અને તુષારભાઈ નાગજીભાઈ બારડની પેનલ બિનહરીફ થઈ છે. વોર્ડ નં.૬માં કુંજલબેન કાનજીભાઈ બારૈયા અને વોર્ડ નં.૯માં વિક્રમભાઈ ભગવાનભાઈ આલગોતરને બિનહરીફ જાહેર કરાયા છે.
મહુવામાં ભાજપના છ મહિલા ઉમેદવાર બિનહરીફ
મહુવા નગરપાલિકાના વોર્ડ નં.૬માં ચાંદનીબેન અશોકભાઈ મહેતા અને જીલુબેન જશુભાઈ શિયાળ, વોર્ડ નં.૭માં કુસુમબેન રાજેન્દ્રસિંહ ગોહિલ અને નિલમબેન નિલેશભાઈ ગોહિલ તેમજ વોર્ડ નં.૯માં મધુબેન બાબુભાઈ ગુજરિયા અને જાગૃતિબેન વિશાલભાઈ ચોસલા બિનહરીફ જાહેર થયા છે. આ ત્રણેય વોર્ડમાં હવે બે-બે બેઠક જીતવા ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
વલ્લભીપુરમાં ભાજપની પેનલ વિજેતા
વલ્લભીપુર ન.પા.ના વોર્ડ નં.૩ ઉપર ભાજપે કબજો જમાવી લીધો છે. વોર્ડ નં.૩માં ભાજપના નીઘલબેન વિશ્વરાજસિંહ પરમાર, સીમાબેન હિરેનગિરિ ગોસાઈ, દીપકકુમાર લાભુભાઈ સોલંકી અને સંજયકુમાર હરજીવનભાઈ ભાલાણીની પેનલ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.










