![]()
– સામાન્ય સભામાં રોડ, આરોગ્ય-આંગણવાડીના પ્રશ્ને પક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક ઘમસાણ
– જિલ્લામાં 217 આંગણવાડી કેન્દ્રો જર્જરીત હોવાનો એકરાર, જીએસટીના ઠરાવ મુદ્દે વિપક્ષનો વોકઆઉટ
ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ માસ બાદ મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષે રોડ-રસ્તા, આંગણવાડી અને આરોગ્યના પ્રશ્ને તીખા તેવર દેખાડતા શાસકો અને અધિકારીઓ જવાબ દેવામાં ગેંગેં ફેંફેં.. કરવા લાગ્યા હતા.
જિ.પં.ની સામાન્ય સભાના પ્રશ્નોત્તરી કાળમાં આંગણવાડી કેન્દ્ર બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જિલ્લા પંચાયતના પોતાના મકાન ધરાવતી ૧૧૩૭ આંગણવાડી છે. તે પૈકીની ૨૧૭ આંગણવાડી કેન્દ્રો જર્જરીત હાલતમાં છે. કુલ ૧૫૮૬ આંગણવાડી કેન્દ્રો પૈકી ૩૨૦ આંગણવાડી ભાડાના મકાનમાં અને ૧૨૯ આંગણવાડી કેન્દ્રો અન્ય મકાનમાં બેસતા હોવાનું અધિકારીએ સ્વીકાર્યું હતું. તેમજ ૧૩૫ આંગણવાડીની દરખાસ્ત કરવામાં આવી છે અને ૬૫ આંગણવાડી કેન્દ્રોની ટેન્ડર પ્રક્રિયા શરૂ હોવાની હકીકત જાહેર કરી હતી. આંગણવાડીઓ જર્જરીત હોવાથી બાળકો જીવના જોખમે ભણતર લઈ રહ્યા છે. અધિકારી એસી ચેમ્બરમાં જ બેઠા રહે છે, ગામમાં ડોકાતા નથી અને જો આવે તો જાણ કરતા ન હોવાનો વિપક્ષે આક્ષેપ કરી વિવિધ વિસ્તારમાં નવી આંગણવાડી બનાવવાની માંગણી કરી હતી.
કોંગ્રેસના સભ્યોએ જિલ્લામાં બિસ્માર રસ્તા, આરોગ્યની સુવિધા અને અન્ય સમસ્યાઓને લઈ શાસક પક્ષ અને અધિકારીઓને ભીંસમાં લેતા એક તબક્કે શાસક અને વિપક્ષના સભ્યોએ સામ-સામે આવી જઈ શાબ્દિક યુદ્ધ છેડયું હતું. વિપક્ષના નેતા બળદેવ સોલંકીએ ભાજપના શાસનને નિષ્ફળ ગણાવી જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ ચાલે છે, શાસક પક્ષના પ્રમુખ અને સભ્યો કઠપૂતળીની જેમ કામ કરે છે, શિક્ષણમાં મોટાપાટે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવી પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળ્યાંનો બળાપો ઠાલવ્યો હતો. ઉપપ્રમુખે સામાન્ય સભા સફળ રહ્યાનું અને ૧૮ કામને મંજૂરી આપ્યાની રેકર્ડ વગાડી હતી.
કરો વાત.. પંચાયત હસ્તકના 184 રસ્તા ટનાટન, એકમાં જ ફરિયાદ!
જિલ્લામાં ૧૨ મહિનામાં ૫૨ અને ૧૨ માસથી છેલ્લા ૨૪ માસમાં ડામર અને સીસી રોડના ૭૦ કામ થયા છે. પંચાયત હસ્તકના ૧૮૫ રસ્તા ગેરેંટી પીરિયડમાં છે, તેમાંથી માત્ર એક રસ્તાની જ ફરિયાદ આવ્યાનો બચાવ કરાયો હતો. જેને લઈ વિપક્ષે ખરાબ રસ્તાઓનું લાંબુ લચક લિસ્ટ મુકતા જોવા જેવી થઈ હતી. વધુમાં કુડાથી કોળિયાક રોડના કામમાં મટીરિયલના સેમ્પલ ફેઈલ થતાં કામ બંધ કરાવી એજન્સીને ૨૦ લાખનો દંડ ફટકાર્યાનું કા.ઈ.એ જણાવ્યું હતું. ટીમાણા-કુંઢેલી રોડ પર શેત્રુંજી નદીના પુલના કામમાં કંપનીને બ્લેકલિસ્ટ કરી નોટિસ ફટકારી એક માસની મુદ્દત આપી હોવાનું કહ્યું હતું. તેમજ તળાજા તાલુકાના નીચડી ગામે સુવિધાપથમાં સીસી રોડ બનાવવાના કામને લઈ અધિકારી-પ્રમુખ સાથે ચકમક ઝરી હતી.
13 સીએચસીમાં તજજ્ઞા ડોક્ટર પૂરતા ન હોવાનો એકરાર
જિલ્લા પંચાયત હસ્તકના ૧૩ સીએચસી અને ૪૯ પીએચસી સેન્ટરમાં ઈસીજી મશીન ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો હતો. તેની સામે વરતેજ સીએચસીમાં ઈસીજી મશીન ન હોવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો. ૧૩ સીએચસીમાં સરકારના રેગ્યુલર તજજ્ઞા ડોક્ટર પ્રમાણમાં ઓછા હોવાનો આરોગ્ય અધિકારીએ એકરાર કરી સીએમ સેતુ યોજના હેઠળ અને સીપીએસ બોન્ડેડ તબીબો પૂરતા હોવાનું કહ્યું હતું.










