![]()
– ભાવનગરના વેપારીઓને બીલ બનાવવા સહિતની બાબતમાં થતી પરેશાની
– જીએસટીના નવા ભાવને લઈ વેપારી અને ગ્રાહકો વચ્ચે થતી તકરાર, પરિસ્થિતી થાળે પડતા સમય લાગશે તેવી વેપારીઓમાં ચર્ચા
ભાવનગર : ભારતની ઈનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જીએસટીના નવા રેટ લાગુ થતા ગ્રાહકોને ફાયદો છે પરંતુ વેપારીઓની મૂશ્કેલી વધી હોવાનુ જાણવા મળેલ છે ત્યારે હાલ વેપારીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.
ભાવનગર સહિત દેશભરમાં ગત તા. રર સપ્ટેમ્બરથી જીએસટી ર.૦ માં નવા રેટ લાગુ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગની પ્રોડક્ટસ પર પ ટકા અને ૧૮ ટકા જીએસટી લાગુ કર્યો છે. સાબુ, શેમ્પુ, ટૂથ પેસ્ટ, બિસ્કિટ, નાસ્તા, ઘી, સાયકલ, સ્ટેશનરી સહિતની જીવન જરૂરી વસ્તુઓમાં ૧ર ટકા જીએસટી લેવામાં આવતો અને તેના બદલે હવે ઘણી ચીજવસ્તુઓમાં પ ટકા જીએસટી કરવામાં આવ્યો છે, જયારે કેટલીક ચીજવસ્તુઓમાં ૧૮ ટકા જીએસટી કરવામાં આવ્યો છે. ઘરગથ્થુ ઉપકરણો અને ઈલેકન્ટ્રોનિક્સમાં ર૮ ટકા સ્લેબ હતો તે ઘટાડીને ૧૮ ટકા કરાયો છે, જેના કારણે ગ્રાહકોને ફાયદો થયો છે.
લકઝરી પ્રોડક્ટસ તેમજ હાનિકારક પદાર્થો પર સ્પેશ્યિલ સ્લેબ ૪૦ ટકા જીએસટીનો છે, જેમાં તમાકુ, આલ્કોહોલ સહિતનો સમાવેશ થાય છે. જીએસટીમાં અત્યાર સુધી પ, ૧ર, ૧૮ અને ર૮ ટકા ચાર સ્લેબ લાગુ હતાં. જીવન જરૂરી ચીજવસ્તુ, દવા વગેરેમાં ભાવ ઘટતા ગ્રાહકોને ફાયદો થયો છે પરંતુ હાલ વેપારીઓ પાસે જુનો સ્ટોક પડયો હોવાથી નવી એમઆરપીના બીલ બનાવવામાં મૂશ્કેલી પડી રહી છે. સોફ્ટવેર અપડેટ કરવા પડી રહ્યા છે. ગ્રાહકોને કંઈ ચીજવસ્તુના ભાવ ઘટયા છે તેની ખબર ન હોવાથી તકરાર થઈ રહી છે. જીએસટીના નવા રેટ લાગુ થવાના કારણે વેપારીને જુના સ્ટોકના વેચાણમાં નુકશાન પણ થઈ રહ્યુ હોવાનુ જાણવા મળેલ છે. આ પરિસ્થિતી થાળે પડતા વાર લાગશે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું.
જીએસટી નવા રેટના કારણે નુકશાન, સરકારે સમય આપવો જોઈએ : વેપારી અનીલ યાદવ
જીએસટીના નવા રેટના કારણે દવાના વેપારીઓને નુકશાન જઈ રહ્યુ છે, નવી અને જુની એમઆરપી નાખવામાં સમય બગડી રહ્યો છે, છેલ્લા ૮ દિવસથી જીએસટીના નવા દરના કારણે વેપારીઓને ઉજાગરા કરવા પડી રહ્યા છે. કેટલીક ચીજવસ્તુઓના ભાવ યથાવત છે છતા ગ્રાહકોને ખબર ન હોવાથી ડિસ્કાઉન્ટ માંગતા હોય છે તેથી તેઓને સમજાવવામાં મૂશ્કેલી પડતી હોય છે. જીએસટીના નવા રેટ માટે સરકારે વેપારીઓને સમય આપવાની જરૂરીયાત છે. હાલ વેપારીઓને પરેશાની થઈ રહી છે તેમ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય અને દવાના વેપારી અનીલ યાદવે જણાવ્યુ હતું.
મોટાભાગના વેપારીઓ પાસે જુનો સ્ટોક યથાવત
ભાવનગર શહેરના તમામ વેપારીઓ પાસે જુનો સ્ટોક યથાવત છે અને આ તમામ ચીજવસ્તુઓમાં જુની એમઆરપી છે. હવે ગત તા. રર સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ કરવામાં આવ્યા છે તેથી વેપારીઓને જુનો સ્ટોકના વેચાણમાં મૂશ્કેલી પડી રહી છે. નવી એમઆરપીનો સ્ટોક આવશે ત્યાં સુધી પરેશાની રહેશે તેમ વેપારીઓએ જણાવેલ છે.
કેટલાક વેપારીઓ બીલ વગર માલ વેચી રહ્યા હોવાની ચર્ચા
ભાવનગર શહેરમાં કેટલાક વેપારીઓ જીએસટીનો નવો દર લાગુ થયા બાદ બીલ વગર માલ વેચી રહ્યા હોવાની ચર્ચા છે, જેના કારણે નવા જીએસટી દરનો ગ્રાહકને લાભ મળતો નથી. વેપારી ગ્રાહક પાસેથી ચીજવસ્તુના જુના ભાવ લે છે અને પકડાય ન જાય તે માટે બીલ આપતા નથી ત્યારે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સરકારી તંત્રએ તપાસ કરી પગલા લેવા જરૂરી છે.
કંપનીવાળા એમઆરપી ન વધારે તે માટે સરકારે તપાસ કરવી
સરકારે ગ્રાહકોના હિતમાં જીએસટીના નવા દર લાગુ કર્યા છે પરંતુ કેટલીક કંપની દ્વારા એમઆરપી વધારી દેવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને ફાયદો થતો નથી ત્યારે સરકારે આ બાબતે તપાસ કરવી જોઈએ. કંપનીએ શું કામ ભાવ વધારો કર્યો ? સહિતની તપાસ કરી કડક પગલા લેવા જોઈએ તો ગ્રાહકોને ફાયદો થશે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.
વેપારીને આઈટીસી મોડી મળશે : ટેક્સ કન્સલ્ટન્ટ
આ અંગે ભાવનગરના અગ્રણી ટેક્સ કન્સલ્ટન્ટ ભરતભાઈ શેઠે જણાવ્યું હતું કે, જીએસટીના સ્લેબમાં ફેરફાર થવાથી વેપારીને ખરીદેલા માલની જે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે તે મોડી મળશે. તેમજ મોટા વેપારીઓ જેમને સ્ટોક વધારે હશે તેમના નાણાં લાંબા સમય સુધી અટવાયેલા રહેશે, વેપારીને કોઈ નુકસાન નહી થાય.










