![]()
Arvind Kejriwal in Gujarat: જામનગરમાં ગઈકાલે (5 ડિસેમ્બર) AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા ‘જૂતા એટેક’ની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો ચરમસીમા પર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે રવિવારે ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 ડિસેમ્બરે સાંજે રાજકોટ પહોંચશે અને ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રોકાણ કરીને મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગુજરાત AAPએ તેમના સંયોજકને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કેજરીવાલનો ગુજરાત પ્રવાસ;
કેજરીવાલનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ સૌરાષ્ટ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.
- 7 ડિસેમ્બરે સાંજે 7:15 વાગ્યે દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન.રાજકોટની ફોર્ચ્યુન હોટેલમાં ત્રણ દિવસ રોકાણ.
- 8 ડિસેમ્બરે બોટાદના હડદડ ગામમાં ‘કડદા પ્રથા’ના વિરોધમાં થયેલા ઘર્ષણ બાદ ધરપકડ કરાયેલા AAP નેતાઓને જેલમાં મળશે. જ્યારે રાત્રિના સમયે કોટડા સાંગાણીના અરડોઈ ગામમાં પાક નિષ્ફળ જવાના કારણે જીવ ટૂંકાવનાર 50 વર્ષીય ખેડૂત દિલીપ વિરડીયાના પરિવારજનોની મુલાકાત લેશે.
- ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તે મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજશે.
- 9 ડિસેમ્બર સાંજે 6:00 વાગ્યે રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી દિલ્હી પરત ફરશે.
AAPનો સૌરાષ્ટ્રમાં દબદબાનો પ્લાન!
અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને રાજકીય પંડિતો અલગ રીતે જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી મોટા વર્ગને પડખે કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે. જેથી આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ભાજપના ગઢ સૌરાષ્ટ્રમાં અરવિંદ કેજરીવાલ આ પ્રવાસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રાજકીય સોગઠાં પણ ગોઠવશે. મહત્વનું છે કે આ પહેલા સુરેન્દ્રનગરના સુદામડામાં 31મી ઓ્કટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી.
ગઇકાલે ઈટાલિયા પર જૂતું ફેંકાયું હતું
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘ગુજરાત જોડો યાત્રા’ અંતર્ગત ગઈકાલે (5 ડિસેમ્બર) જામનગરમાં યોજાયેલી બાઇક રેલી અને જાહેર સભામાં મોટો રાજકીય હંગામો થયો હતો. જ્યારે AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ સભા સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જૂતું ફેંકાતાની સાથે જ સભામાં ઉપસ્થિત AAPના કાર્યકરો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને તેની ધોલાઈ કરી હતી. આ સમયે પોલીસ પણ હુમલાખોરને પકડવા માટે દોડી આવી હતી. જોકે, ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી હતી. જોકે, બાદમાં પોલીસે હુમલાખોરની અટકાયત કરી લીધી હતી.
વધુ વાંચો: ‘વસવસો રહી ગયો હતો..’, ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું
જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાનો ‘બદલા’નો દાવો
પોલીસ અટકાયત પહેલા જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે “અગાઉ ગુજરાત રાજ્ય સરકારના તત્કાલીન મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા દરમિયાન જૂતું ફેંક્યું હતું. તે સમયથી મને વસવસો રહી ગયો હતો. આજે મોકો જોઇને, મેં મારા સમાજનો બદલો વાળ્યો છે. આનાથી મને સંતોષ થયો છે.”










