![]()
મનપા કંટ્રોલ રૂમમાં 3 દિવસમાં 102 ફરિયાદ : મુખ્ય માર્ગો તેમજ શેરીગલીઓમાં કચરાના ગંજ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનાં વાહન પણ ન જતાં ગૃહિણીઓ પરેશાન
જૂનાગઢ, : જૂનાગઢમાં સફાઈ કર્મીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહેતા શહેરમાં કચરાના ખડકલા થયા છે. ઘેર- ઘેરથી કચરો એકત્ર કરવા માટેનાં વાહનો પણ આવ્યા નહોતાં. કંટ્રોલરૂમમાં સફાઈ અને ગટર સંદભત 102 ફરિયાદ નોંધાઈ છે. મનપાએ 450 સફાઈ કર્મીઓને ફરજ પર હાજર થવા નોટિસ આપી છે.
સફાઈ કર્મચારીઓએ ગુરૂવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનાં વાહનમાં તોડફોડ કરી હતી ત્યારબાદ એજન્સી દ્વારા કચરા ગાડી બંધ કરવામાં આવી છે. આ વાહનો પણ અટકાવાતા અને સફાઈ ખોરવાતા ગંદકીના કારણે મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કચરા ગાડી આવી નથી, ઘર પાસે ઉકરડો થયો છે સહિતના મુદ્દે ફરિયાદોનો મારો થઈ રહ્યો છે. ત્રણ દિવસમાં સેનિટેશનમા 85 અને ડ્રેનેજ 17 બંને મળી કુલ શાખા સંદભત 102 ફરિયાદ નોંધાઈ છે. મોટાભાગની ફરિયાદ કચરા અને ગંદકી તથા ગટર ઉભરાવા સંદર્ભે હોવાથી તાત્કાલિક ફરિયાદનો ઉકેલ નહીં થાય તો રોગચાળો થવાની સંભાવના સેવાઇ રહી છે. કેટલ પાઉન્ડ શાખામાં મૃત પશુની બે ફરિયાદ છે તે પણ ઉકેલાઈ નથી. ગંદકીના કારણે દુર્ગંધથી રાહદારીઓ મોં પર રૂમાલ બાંધવા મજબૂર થયા છે. શેરીગલીઓમાં સફાઈ ન થતા ગંદકી થઈ ગઈ છે. ત્રણ દિવસથી સફાઈ કર્મીઓ ન ડોકાતા વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે ત્યારે આ હડતાળનું વહેલાસર નિરાકરણ કરવામાં આવે એવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે. ત્રણ દિવસ બાદ પણ હડતાળ યથાવત રહેતાં કાયમી અને સખી મંડળ સહિત કુલ 450 સફાઈ કર્મીઓને ફરજ પર હાજર થવા નોટિસ આપી જણાવાયું છે કે નોટિસનું ઉલ્લંઘન થશે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.










