![]()
Sarfaraz khan News : સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને દક્ષિણ આફ્રિકા-A સામેની બે ફર્સ્ટ ક્લાસ મેચો માટે ઇન્ડિયા-A ટીમમાં સામેલ ન કરાતાં મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે હવે રાજકારણ ગરમાયું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે આ મુદ્દાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર પણ નિશાન સાધ્યું છે.
શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર મુદ્દો ઉછાળ્યો
શમા મોહમ્મદે પોતાના X એકાઉન્ટ પર લખ્યું, “શું સરફરાઝ ખાનની પસંદગી તેના સરનેમના કારણે નથી કરવામાં આવી? બસ પૂછી રહી છું. આપણે જાણીએ છીએ કે ગૌતમ ગંભીર આ મામલે શું વિચારે છે.” તેમના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ભાજપના નેતા અને પૂર્વ ક્રિકેટર મોહસિન રઝાએ આ ટીકાનો જવાબ આપતા કહ્યું, “આને રાજકીય ન બનાવો. આ કહેવાતા મુસ્લિમ નેતાઓએ ખેલાડીઓના ભવિષ્ય સાથે રમવું ન જોઈએ. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પણ ટીમમાં રમે છે. આ ખોટું છે.”
શું છે સમગ્ર મામલો?
સરફરાઝ ખાને છેલ્લે નવેમ્બર 2024માં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી. ફિટનેસ પર કામ કરીને તેણે 17 કિલો વજન પણ ઘટાડ્યું છે. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરાયો હતો, પરંતુ રમવાની તક મળી ન હતી. ત્યારબાદ ઇંગ્લૅન્ડ પ્રવાસ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ઘરેલુ શ્રેણીમાં તેની પસંદગી ન થતાં સવાલો ઊભા થયા હતા. ચીફ સિલેક્ટર અજીત અગરકરે ગયા મહિને સરફરાઝની ઈજાને તેની બાદબાકીનું કારણ ગણાવ્યું હતું.
વિવાદનું કારણ શું?
જોકે, વિવાદનું મુખ્ય કારણ એ છે કે સરફરાઝે ઈજા પહેલા ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ઇન્ડિયા-A માટે 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં સદી પણ ફટકારી હતી. આવા શાનદાર પ્રદર્શન છતાં તેને હવે ઇન્ડિયા-A ટીમમાંથી પણ બહાર રાખવામાં આવતા પસંદગી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ અગાઉ પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન તત્કાલીન કૅપ્ટન રોહિત શર્માના ફિટનેસ પર ટિપ્પણી કરીને વિવાદમાં આવી ચૂક્યા છે, જે બાદ તેમણે માફી માંગવી પડી હતી.










