![]()
– દિલ્હીથી ઝ્યુરિચ જતી ફ્લાઇટમાં ખામી સર્જાઇ
– પાયલટે તાત્કાલિક ઉડાન રદ કરી દીધી, વિમાનમાંથી બહાર નીકળવા ધક્કામુક્કીમાં ચાર મુસાફરો ઘાયલ થયા
– દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમર્જન્સી જાહેર કરવી પડી, રનવે પર ફાયર ફાઇટર્સની ટીમો દોડવા લાગી
– મુસાફરો સુરક્ષિત હોવાનો દિલ્હી એરપોર્ટનો દાવો
નવી દિલ્હી : સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનમાં દિલ્હીથી ઉડાન ભરતી વખતે કેટલીક ખામી સર્જાઇ હતી. જેને પગલે તાત્કાલીક ઉડાનને રદ કરવી પડી હતી, આ દરમિયાન ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જે વિમાન સાથે આ ઘટના બની તેમાં ૨૪૫ લોકો સવાર હતા. વિમાનને જેવુ ટેકઓફ કર્યું કે તરત જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી કોઇ મોટી ઘટના બને તે પહેલા જ વિમાનની ઉડાન રદ કરીને તાત્કાલીક નીચે ઉતારી લેવાયું હતું.
રવિવારે સવારે બે વાગ્યે દિલ્હીથી ઝ્યુરિચ તરફ જઇ રહેલી સ્વિસ એરલાઇનનુ વિમાન ટેકઓફ માટે રનવે પર દોડી રહ્યું હતું તે સમયે જ તેના લેફ્ટ લેન્ડિંગ ગીયરમાંથી ધુમાડો નિકળવા લાગ્યો હતો. પાયલટે તાત્કાલીક ટેકઓફને રદ કરી દીધુ અને વિમાનને ઉડવા ના દીધુ. ચાલુ વિમાને ધુમાડો નીકળી રહ્યો હોવાની જાણકારી મળતા જ દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કોઇ જ ઉતાવળ વગર ફુલ ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી હતી. ઘટનાને પગલે તાત્કાલીક ફાયર ફાઇટર્સની અનેક ગાડીઓ રનવે પર દોડવા લાગી હતી અને વિમાન સુધી પહોંચી ગઇ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો જીવ બચાવવા માટે તાત્કાલીક ક્રાઇસિસ મેનેજમેન્ટ અને મલ્ટી એજન્સી રિસ્પોંસ ટીમ પુરી રીતે એક્ટિવ થઇ ગઇ હતી. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ સાત ઇમર્જન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવા માટે સ્લાઇડર તૈનાત કરી દેવાયા હતા. મુસાફરો પણ ઘટનાને પગલે ચિંતામાં મુકાયા હતા. વિમાનમાંથી બહાર નીકળતી વખતે ગેટ પર ધક્કામુક્કી થવા લાગી હતી. આ દરમિયાન ચાર મુસાફરો ઘાયલ થઇ ગયા હતા જેમને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. દિલ્હી ેએરપોર્ટ દ્વારા એક નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે એરપોર્ટ પર ફુલ ઇમર્જન્સી જાહેર કરાઇ હતી, તમામ મુસાફરોને સુરક્ષા બહાર કાઢી લેવામાં આવ્યા છે. ક્યા ટેક્નીકલ કારણોસર ફ્લાઇટમાં ધુમાડા નીકળ્યા તેની તપાસ ચાલી રહી છે.










