![]()
ગાંધીનગરમાં દબાણો હટાવવા હવે પોલીસ મેદાને
ઇન્ફોસિટી અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર ઉભા રહેલા બારથી વધુ વેપારીઓ સામે ગુના દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં રોડ ઉપર ઉભા રહીને ટ્રાફિકને અડચણ ઊભી
કરતા લારી ગલ્લાના સંચાલકો સામે હવે પોલીસે ગુના દાખલ કરવાનું શરૃ કર્યું છે. જે
અંતર્ગત બે જ દિવસમાં ઇન્ફોસિટી અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બારથી વધુ
વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ
રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગો પરના દબાણનો
પ્રશ્ન વર્ષોથી વણઉકેલાયેલો રહ્યો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઈ
રહ્યો છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે રસ્તાઓ પર લારી-ગલ્લાં અને ખાણીપીણી
બજાર ઊભાં થઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવે ગાંધીનગર
પોલીસે દબાણકર્તાઓ સામે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે અને જે અંતર્ગત
ટ્રાફિકને અડચણરૃપ બનતા લારી-ગલ્લાંના સંચાલકો સામે ગુના દાખલ કરવાની ઝુંબેશ શરૃ
કરવામાં આવી છે.
આ કડક પગલાંના ભાગરૃપે તાજેતરમાં ઇન્ફોસિટી વિસ્તારમાં
નોનવેજ અને ઈંડાની લારી ચલાવતા સાત જેટલા વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા
હતા. આ કાર્યવાહીને આગળ ધપાવતા સેક્ટર ૭ પોલીસે પણ ગઈકાલે સેક્ટર ૧૫ સહિતના
વિસ્તારોમાં સમાન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અપનાવવામાં આવેલું આ નવું
ગુના દાખલ કરવાનું હથિયાર દબાણકર્તાઓ માટે એક ચેતવણીરૃપ છે. શહેરના અન્ય
વિસ્તારોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે,
તેવી પોલીસની રણનીતિ છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીના પગલે હાલમાં દબાણ
કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ,
શહેરના નાગરિકો અને વાહનચાલકોએ પોલીસની આ કાર્યવાહીને આવકારી છે કારણ કે આનાથી
મુખ્ય માર્ગો પરની ભીડ અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની આશા છે. પોલીસના
આ કડક વલણથી ગાંધીનગરના રાજમાર્ગો હવે વધુ ખુલ્લા અને ટ્રાફિક મુક્ત બને તેવી
શક્યતા છે.










