![]()
વડોદરા, તા.2 કમિશનમાં વધારો સહિત કેટલીક માંગણી મુદ્દે બે દિવસથી હડતાળ પર ઉતરેલા રેશનિંગ દુકાનદારો પર તંત્ર હવે તૂટી પડયું છે અને ધમકીઓ આપવા લાગ્યા હોવાના આક્ષેપો કરાયા છે.
મહિનાના પ્રારંભથી જ રેશનિંગ દુકાનદારોની હડતાળથી લાખો લાભાર્થીઓ અનાજથી વંચિત રહેવા લાગ્યા છે. સરકારી અનાજ પહોંચાડતા દુકાનદારો સાથે મીઠા સંબંધો રાખતા પુરવઠા વિભાગના અધિકારીઓ હવે ધમકીની ભાષાઓ ઉચ્ચારવા લાગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
દુકાનદારોએ આક્ષેપ કર્યા છે કે ચલણ જનરેટ કરો, પૈસા ભરો તેવા દબાણો કરવામાં આવે છે અને જો ચલણો નહી ભરો તો તપાસ શરૃ કરીશું, તમારી સામે કેસ કરીશું અને સજા થાય તેવા પ્રયત્નો કરીશું. તંત્રની આ ધમકીઓના કારણે કેટલાક દુકાનદારો ગભરાઇને ચલણો ભરવા લાગ્યા છે.










