![]()
– મૃતકના ભાઈએ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– બે મિત્રો તળાજા લૌકિક કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : તળાજા લૌકિક કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવી રહેલા બે મિત્રોની બાઈક પાછળ તણસા નજીક આવેલા નાળા પાસે અન્ય મોટરસાયકલ ઘૂસી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.
શહેરના સુભાષનગર ખાતે રહેતા મનીષભાઈ ધરમશીભાઈ સોલંકી અને તેના મિત્ર જીગ્નેશભાઈ ગંભીરભાઈ મકવાણા પોતાનું મોટરસાયકલ લઈ તળાજા લૌકિક કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન તણસા નજીક આવેલા નાળા પાસે પાછળથી બાઇક નંબર જીજે ૦૪ એક્સ ૭૧૦૧ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી યુવાનની બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા બન્ને યુવાનને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મનીષભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ સંજયભાઇએ બાઈક ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










