Tamil Nadu Politics 2026: તમિલનાડુમાં ચૂંટણી પરિણામો બાદ સરકાર રચવાને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. માત્ર 5 બેઠકો જીતનારી કોંગ્રેસે પરિણામોના બીજા જ દિવસે ઉતાવળમાં વિજયની પાર્ટી TVKને સમર્થન જાહેર કરી દીધું હતું. કોંગ્રેસને આશા હતી કે વિજય સત્તા પર આવશે તો તેને કેબિનેટમાં હિસ્સો મળશે. જોકે, બુધવારે સાંજે રાજ્યપાલે વિજયને બહુમતી સાબિત કરવા માટે જરૂરી આંકડા રજૂ કરવા જણાવતા કોંગ્રેસની ગણતરીઓ ઊંધી પડી છે. TVK પાસે પોતાની 108 બેઠકો છે અને કોંગ્રેસની 5 બેઠકો ભળતા આ આંકડો 113 પર પહોંચે છે, જે બહુમતી માટે જરૂરી 118થી હજુ પણ 5 બેઠકો ઓછી છે.
DMK અને AIADMKના ગઠબંધનની ચર્ચાઓ: રાજકારણમાં નવી ‘ઉલટબાંસી’
રાજ્યમાં અન્ય પક્ષો જેવા કે VCK, મુસ્લિમ લીગ અને ડાબેરી પક્ષોએ વિજયને ટેકો આપવાનો ઈનકાર કરી દીધો છે. આ દરમિયાન તમિલનાડુના રાજકારણના બે કટ્ટર હરીફ પક્ષો—DMK અને AIADMK—સાથે મળીને સરકાર બનાવે તેવી અટકળો તેજ થઈ છે. જો આ બંને પક્ષો સાથે આવશે, તો તે યુપીમાં સપા-બસપા અથવા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીના ગઠબંધન જેવી ઐતિહાસિક ઘટના ગણાશે. જો આવું થશે, તો ઉતાવળમાં વિજયને ટેકો આપનારી કોંગ્રેસ એકલી પડી જશે અને તેની સ્થિતિ વધુ કફોડી થઈ શકે છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ?
કોંગ્રેસનો બચાવ: ‘ગઠબંધન તોડવું એ DMKની જૂની આદત’
કોંગ્રેસે વિજયને આપેલા સમર્થનને વિચારધારા સાથેનું સમજૂતી માનવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ જોથીમણી સેન્નીમલાઈએ DMK પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, રાજકારણમાં ગઠબંધન બનવા અને તૂટવા એ સામાન્ય બાબત છે. તેમણે યાદ અપાવ્યું કે 2014ની ચૂંટણીના માત્ર એક અઠવાડિયા પહેલા જ DMKએ કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર કરી દીધી હતી. કોંગ્રેસનું કહેવું છે કે વિજયની વિચારધારા પણ બિનસાંપ્રદાયિક છે, તેથી તેમને સમર્થન આપવામાં કંઈ ખોટું નથી. અત્યારે તમિલનાડુમાં સત્તાનું પલ્લું કઈ તરફ ઝૂકશે તે જોવું રસપ્રદ રહેશે.











